૭૪માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ૧૦૮, ૧૮૧ અને ૧૯૬૨ સહિતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન
રાજકોટ : દેશના ૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે સંજીવની સમાન બની છે. વિશિષ્ટ અને અનન્ય સેવા બદલ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનાં ઈ.એમ.ટી. કાળુભાઈ ગોહિલ, પાયલોટ સુરેશ દવેરા, શ્રમયોગી આરોગ્ય સંજીવની રથનાં મેડીકલ ઓફિસર ડો. રીંકલ ગજેરા, ધન્વંતરિ આરોગ્ય રથનાં પેરામેડીકલ કાનજીભાઈ પરમાર, ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈનનાં વેટરનરી ડો. અતુલ સોરઠીયા, ડ્રાઇવર કમ ડ્રેસર રામજીભાઈ ડબાસરા, ૧૮૧ અભયમનાં કાઉન્સેલર ઓફિસર તૃપ્તિ પટેલ સહિતના આરોગ્યકર્મીઓને વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમની વિશિષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી.