આંબેડકરનગરમાં આર્થિક ભીંસથી કંટાળી ગણેશભાઇ પારઘીનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટ તા. ૨૭ : દોઢસો ફૂટ રોડ પર આંબેડકરનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર આવ્યા ચોકડી પાસે આંબેડકરનગર શેરી નં. ૧૨માં રહેતા ગણેશભાઇ ચકુભાઇ પારઘી (ઉ.૩૮) એ પોતાની ઓરડીમાં લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો યુવાનને લટકતી હાલમાં જોઇ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.બી.રાણા તથા રાઇટર પ્રશાંતસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક ગણેશભાઇ અપંગ હતા તે છૂટક કામ કરતા હતા. તેણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું છે. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.