મ.ન.પા.માં ખાસ બ્રિજ સેલની રચના કરતા ઉદિત અગ્રવાલ
નવા ચાર બ્રિજનું કામ અઠવાડિયા પછી શરૂ થઇ જશે
સીટી ઇજનેર દોઢયાના નેજા તળેની ટીમ સૌ પ્રથમ ચારે'ય બ્રીજના સર્વિસ રોડની કામગીરી શરૂ કરી દેશે
રાજકોટ તા. ૨૭ : શહેરમાં ચાર સ્થળોએ નવા ઓવરબ્રીજ બનાવવા માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચારે'ય બ્રિજના ભૂમિપૂજનો કર્યા હતા ત્યારે હવે આ ચારેય બ્રીજના કામનો પ્રારંભ પણ અઠવાડિયામાં જ થઇ જશે તેમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોમાં પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ઓવરબ્રીજ તથા નાનામૌવા ચોક, રામદેવપીર ચોકડી, જડુસ ચોકડીના ઓવરબ્રીજોના ભૂમિપૂજન થઇ ગયા છે.
ટેન્ડરો મંજુર થઇ ગયા છે ત્યારે હવે તમામ બ્રિજને બે વર્ષની નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે ખાસ 'બ્રિજ સેલ'ની રચના કરી છે અને સિટી ઇજનેર શ્રી દોઢયાને તેની જવાબદારી સુપ્રત કરાઇ છે. તેઓની સાથે ડે.ઇજનેરોની નિમણૂંક કરાઇ છે.
'બ્રિજ સેલ'ની આ ટીમ દ્વારા માત્રને માત્ર બ્રિજના નિર્માણ માટે કામગીરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અઠવાડિયા બાદ સૌ પ્રથમ આ બ્રિજના સર્વિસ રોડની કામગીરી તથા પાણી લાઇન, ડ્રેનેજ લાઇન જેવી સર્વિસ લાઇનોના સ્થળાંતર સહિતની કામગીરી શરૂ કરી દેવાશે.