રાજકોટ
News of Thursday, 26th May 2022

માતાજીના માંડવામાં જવા બાબતે પતિ સાથે ચડભડ થતાં પત્નિનો આપઘાત

પાળની પારૃલબેને વીસ દિવસ પહેલા દવા પી લીધી'તીઃ સારવારમાં મોત

રાજકોટ તા. ૨૬: લોધીકાના હરિપર પાળ ગામે રહેતી પારૃલબેન ચંદુભાઇ પરમાર (ઉ.૩૭) નામની પરિણીતાએ ગત ૭/૫ના રોજ ઘરે ઝેરી દવા પી લેતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પારૃલબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ પારૃલબેનને તા. ૭ના રોજ મોરબીના ધ્રુવનગર ખાતે માતાજીના માંડવામાં જવું હતું. પરંતુ ત્યાં જવા પ્રશ્ને પતિ સાથે ચડભડ થતાં માઠુ લાગ્યું હતું. બધા સુઇ ગયા બાદ રાતે ત્રણેક વાગ્યે તેણીએ ઝેર પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. લોધીકા પોલીસને જાણ થતાં જરૃરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(4:20 pm IST)