અમુકને હજુ બેફિકરઃ ચોથી રાતે કર્ફયુ જાહેરનામા ભંગના ૧૩૧કેસ
રાજકોટઃ દિવાળી-નવા વર્ષના તહેવાર પછી વધી ગયેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા સરકારને અમુક શહેરોમાં રાત્રી કર્ફયુ લાદવો પડ્યો છે. રાજકોટ શહેરમાં કર્ફયુની ચોથી રાતે પોલીસની ટીમો આદેશનું કડક પાલન કરાવવા ફરજ પર પહોંચી ગઇહતી. ઠેકઠેકાણે ચેકીંગ કરવામાં આવ્યું હતું. અમુક લોકો હજુ પણ ગંભીરતા દાખવતા ન હોઇ તેઓ બિન્દાસ્ત બની કર્ફયુના સમયમાં પણ કારણ વગર બહાર નીકળી પડ્યા હતાં. પોલીસે આવા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી હતી. ત્રણ દિવસમાં પોલીસે જાહેરનામા ભંગ, સોશિયલ ડિસ્ટન્સ ભંગના ટોટલ ૫૪૧ કેસ કર્યા હતાં અને ૨૩૪ વાહનો ડિટેઇન કર્યા હતાં. કર્ફયુની ચોથી રાતે જાહેરનામા ભંગના૧૩૧ કેસ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ એસીપીશ્રી, પીઆઇશ્રી અને ટીમો કર્ફયુનું કડક પાલન કરાવે છે. તસ્વીરોમાં અલગ-અલગ રસ્તાઓ પર તૈનાત પોલીસ અને થઇ રહેલી વાહન ચેકીંગની કાર્યવાહી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)