મહિલા દર્દીને સિવિલમાંથી રજા અપાઇ, રિક્ષામાં બેઠા, રિક્ષા બંધ પડી...પોલીસે બોલેરોમાં બેસાડી ઘરે પહોંચાડ્યા
કર્ફયુની ફરજ વખતે એસીપી પી. કે. દિયોરા, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને સમગ્ર ટીમે દાખવી અનેરી માનવતા
રાજકોટ તા. ૨૫: કોરોના સંક્રમણ અટકાવવા કર્ફયુનું પાલન કરાવી રહેલી પોલીસ કડક ફરજ બજાવવાની સાથોસાથ રાત્રીના સમયે માનવતાની મહેક પણ પ્રસરાવે છે. ચોથી રાતે પણ આવા દ્રશ્યો સામા આવ્યા હતાં. કાલાવડ રોડ કટારીયા ચોકડીએ ડીસીપી મનોહરસિંહ જાડેજા, તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર તથા ટીમ ફરજ પર હતી ત્યારે એક દંપતિ બે બાળકો સાથે પગપાળા આવતાં ડીસીપીશ્રી જાડેજાએ તેની પૃછા કરતાં યુવાને જણાવ્યું હતું કે પોતે પત્નિ-બાળકો સાથે મેટોડા ભાઇની ખબર કાઢવા ગયો હતો. પાછા આવવામાં મોડુ થતાં વાહન ન મળતાં ત્યાંથી પગપાળા આવ્યા છે. યુવાનની આ બાબતની ખરાઇ કર્યા બાદ પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર અને ટીમે પોલીસને બોલેરોમાં આ બધાને બેસાડ્યા હતાં અને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી માનવતા દાખવી હતી. દંપતિ છુટક મજૂરી કરે છે અને શનિવારી બજારમાં પણ છુટક માલ સામાન વેંચે છે. દંપતિના બાળકો માટે પોલીસે માસ્ક પણ આપ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)