મુસાફરો માટે રાજકોટ - અમદાવાદ વચ્ચે આજથી એસટી દ્વારા ખાસ ૮ ઇન્ટરસિટી બસ શરૂ કરાઇ
૭૫ ટકા સીટીંગ કેપેસીટી સાથે દોડશે : એડવાન્સ બુકીંગમાં પણ આ બસો આવરી લેવાઇ : સુરત જતી બસનો ટાઇમ ફેરવી નખાયો : પોરબંદર બસનો ટાઇમ ૬.૪૫નો કરાયો : કર્ફયુને કારણે રાજકોટ ડિવીઝનને હાલ ૨૦ ટકા અસર : આમ છતાં ટ્રાફિક સારો - આવક વધવા માંડી હોવાનો અધિકારીઓનો નિર્દેશ
રાજકોટ તા. ૨૫ : રાજકોટમાં રાત્રી કર્ફયુને કારણે રાજકોટ એસટી ડીવીઝનના બસોના ઓપરેશન્સને ૨૦ ટકા જેટલી અસર થઇ છે, પરંતુ આમ છતાં ટ્રાફિક વધવા માંડયો છે અને આવક પણ વધવામાં હોવાનું એસટીના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
તેમણે જણાવેલ કે, કર્ફયુ છે પરંતુ લોકો માટે હવે બસોના સમયમાં ફેરફાર કરતા ટ્રાફિક ફરી વધ્યો છે, તો રાજકોટ - અમદાવાદ વચ્ચે મુસાફરોની સુવિધા માટે સવારે ૬ાા થી ૧૧ વાગ્યા સુધીમાં આજથી નવી ૮ ઇન્ટરસિટી બસ દોડાવવાનું શરૂ કરાયું છે, અને તેમાં પણ ટ્રાફિક સારો હોય ૭૫ ટકા સીટીંગ કેપેસીટી સાથે મુસાફરોને લેવાય છે, તેમજ આ તમામ આઠેય બસોને એડવાન્સ બુકીંગ - રીઝર્વેશનમાં પણ આવરી લેવાઇ છે, આ ઉપરાંત રાજકોટ - અમદાવાદ વોલ્વો તો દોડે જ છે.
સુરત અંગે અધિકારીઓએ જણાવેલ કે, આ બસનો સમય આજથી ફરી ગયો છે, હવે આ બસ સવારે ૯.૪૫ વાગ્યે ઉપડશે, તો પોરબંદર જતી બસનો સમય આજથી સવારે ૬.૪૫નો કર્ફયુને કારણે કરી નંખાયો છે.