શીવપરામાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતા પોણા ત્રણ લાખનું નુકશાન
શોર્ટ સરકિટ કારણભુત : ફર્નિચર, ફ્રીઝ, અનાજ સહિત દુકાન સંપૂર્ણ ખાક
રાજકોટ,તા. ૨૪: શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાસે શીવપરામાં આવેલી કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે શીવપરામાં શેરી નં. ૧માં આવેલ જલારામ જનરલ સ્ટોર્સ નામની કરિયાણાની દુકાનમાં વહેલી સવારે એકાએક આગ લાગતા દુકાનની બાજુમાં રહેતા જગદીશભાઇ પરમારે તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફના ફાયરમેન ભરતભાઇ મુલીયાણા, પરેશભાઇ ચુડાસમા, અજયભાઇ તથા સંજયભાઇ સહિત ફાયર ફાઇટર સાથે બનાવ સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. દુકાન માલીક મનીષભાઇ એમ. રાજાણી (રહે. ગાંધીગ્રામ ભારતીનગર)ને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આગમાં ફર્નિચર, ફ્રીઝ,ઘર વપરાશની ચીજવસ્તુઓ અનાજ અને ચીજવસ્તુઓ સહિત દુકાન સંપૂર્ણ બળી ગઇ હતી. આગ શોટ સર્કિટના કારણે અને તેમાં અંદાજે પોતા ત્રણ લાખનું નુકસાન થયુ હોવાનું દુકાન માલીકે જણાવ્યું હતું.