જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં ૪ વર્ષથી ફરાર શખ્સ પકડાયો
ક્રાઇમ બ્રાંચે રાજકોટના હાલ અમદાવાદ રહેતાં આશિષને પીએસઆઇ ધાખડાની ટીમે ધરમ ટોકિઝ પાસેથી પકડી લઇ સુરત પોલીસને જાણ કરી
રાજકોટ તા. ૨૫: અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર શખ્સોને ઝડપી લેવાની રાજ્યના મુખ્ય પોલીસ વડાએ શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક આવા શખ્સને પકડી લીધો છે. કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી કરવાના ગુનામાં ચાર વર્ષથી ફરાર રેલનગર-૨ શેરી નં. ૯માં રહેતાં હાલ અમદાવાદ ન્યુ મેઘાણીનગર બ્લીઝ ડી-૭૦૮, રામોલ ખાતે રહેતાં આશિષ જીવતરામ સાવનાણીને તે રાજકોટ ધરમ ટોકીઝ પાસે આવ્યો હોવાની બાતમી પરથી પકડી લેવાયો છે.
ડીસીબીના પ્રદિપસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત અને કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી આશિષને સકંજામાં લેવાયો હતો. આ શખ્સ વિરૂધ્ધ સુરત ગ્રામ્ય પલાસણા પોલીસ સ્ટેશનમાં જમીન કોૈભાંડનો ગુનો ૨૦૧૭માં નોંધાયો હતો. ત્યારથી તે ફરાર હતો. આશિષ તથા બીજા આરોપીઓએ મળી ચાર ખોટા કુલમુખત્યારનામા ઉભા કરી કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો ઘડ્યો હતો.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, જયદિપસિંહ ઝાલા અને બાતમી મળી એ તમામે આ કામગીરી કરી હતી.