રૃખડીયાપરા રેલવેના પૂલ નીચે અજાણ્યા યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી
યુવાનને માથા તથા કમ્મરના ભાગે ઇજાઃ ડાબી બાજુનો કાન જનાવર ખાઇ ગયા
રાજકોટ તા. ર૪: રૃખડીયાપરા નજીક રેલવેના પુલ નીચે એક અજાણ્યા યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ રૃખડીયાપરા નજીક રેલવેના પુલ નીચે બીજા પીલોર પાસે એક ૪૦ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ જોગડા અને રાઇટર હિતેષભાઇ કોઠીયાળા સહિતે સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને પીળા કલરનો શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. તપાસ દરમ્યાન યુવાનના માથા તથા કમ્મરના ભાગે ઇજા તેમજ ડાબી બાજુનો કાન કપાયેલો જોવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે યુવાનના મોત પાછળનું કારણ જાણવા લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.