કોરોના વિશેની ગેરમાન્યતાનો ખોટી સાબિત કરતાં ૮૫ વર્ષના અમરીબેન
શરીર અનેક બિમારીઓનું ઘર છતાં સિવિલ અને સમરસની કોવિડમાં સારવારથી થયા સાજા
મોટી ઉંમરના અને ડાયાબિટીસ, રકતચાપ, હ્રદયરોગ વગેરે જેવી બીમારીઓથી પીડિત દર્દીઓને કોરોના ભરખી જાય છે. તેવી ગેરમાન્યતાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલના તબીબોની સારવારથી સ્વસ્થ બનેલા ૮૫ વર્ષીય અમરીબેન પરમારે ખોટી સાબિત કરી છે.
સમરસ હોસ્ટેલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે સેવારત ડ઼ો. કેતન પટેલ કહે છે કે, અમરીબેન હ્રદયરોગ, ડાયાબિટીસ, રકતચાપ જેવી ગંભીર બિમારીઓથી પીડિત હતા. આ માટે તેઓ વર્ષોથી દવાઓ પણ લઈ રહ્યા હતા. ઉપરાંત તેમની ઉંમર પણ ૮૫ વર્ષની છે. તેમ છતાં યોગ્ય સારવાર અને અમરીબેનના દ્રઢ મનોબળના લીધે કોરોના વાયરસથી તેઓ મુકત બન્યા છે. જેથી તેમને આજે ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમરીબેનને શરૂઆતમાં બે દિવસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાં તેમની તબીયતમાં સુધારો જણાતા અહિંયા શીફ્ટ કરવામા આવ્યા હતા.