રાજકોટ
News of Friday, 23rd July 2021

આજી રિવરફ્રન્ટની ડ્રેનેજ પાઇપ લાઇનને રેલ્વેની મંજુરીઃ કામગીરી આગળ ધપાવવામાં મેયર-કમિશ્નર સફળ

પુલ નીચેથી ડ્રેનેજ પસાર કરવાની મંજુરીનાં વાંકે ૧ાા વર્ષથી કામ અટકી પડ્યું હતું

રાજકોટ, તા. ર૩ :  મ.ન.પા. દ્વારા આજી રિવરફ્રન્ટનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો છે. જેને આગળ ધપાવવા મેયર પ્રદિપ ડવે કટીબધ્ધતા દાખવી આ યોજના હેઠળ નદીમાં ગંદા પાણીને અટકાવવાની ઇન્ટરસેટર પાઇપ લાઇન (ડ્રેનેજ લાઇન) નાખવાનું કામ રેલ્વેની મંજુરીનાં વાંકે છેલ્લા ૧ાા વર્ષથી અટકી ગયું હતું. જેને આગળ ધપાવવામાં મેયર પ્રદીપ ડવ તથા મ્યુ. કમિશ્નર અમિત અરોરાને સફળતા મળી છે.

આ અંગેની સતાવાર યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ પ્રોજેકટ પૈકી અમુક પ્રોજેકટ રેલ્વે વિભાગ સાથે સંકળાયેલ હતા. જેના અનુસંધાને તાજેતરમાંજ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગના અધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે જુદા જુદા પ્રશ્ને મીટીંગ યોજાઈ હતી. મીટીંગ બાદ થોડા દિવસ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ વચ્ચેનો જુનો ટેકસનો પ્રશ્ન ઉકેલવામાં આવેલ અને આ બાબતે એમ.ઓ.યુ. પણ કરવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જના રૂ.૧૫ કરોડ જેવી રકમ મળશે.આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ અંતર્ગત ડ્રેનેજની પાઇપલાઇનની કામગીરી કરાવામાં આવી રહેલ છે. કેસરે હિંદ પુલ બાદના રેલ્વેના નવા બનતા તથા હૈયાત બ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ડ્રેનેજ લાઈન નાંખવાની મંજૂરીમાં ઘણો સમય થયા પત્રવ્યવહાર ચાલી રહેલ. તાજેતરમાંજ રેલ્વે વિભાગ સાથે મીટીંગ યોજાયા બાદ રેલ્વે વિભાગના ડીવીઝન રેલ્વે મેનેજર રાજકુમાર તથા કોર્પોરેશનના અધિકારી વચ્ચે સ્થળ વિઝિટ થયેલ. સ્થળ વિઝિટ બાદ સામાન્ય સુધારા વધારા સાથે રેલ્વે વિભાગ દ્વારા ડ્રેનેજની લાઈન નાંખવાની મંજુરી આપવામાં આવેલ છે. આ મંજુરી મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ દ્વારા એકબીજા સાથે સંકલનમાં રહી નિર્ણયો કરવામાં આવતા શહેરના વિકાસને ખુબ જ સારુ પરિણામ મળી રહેશે તેમ મેયર તથા મ્યુનિસિપલ કમિશનરએ જણાવેલ હતું.

(3:59 pm IST)