છત્તીસગઢની સેન્ટ્રલ યુનિવર્સિટી કુલપતિ પદે રાજકોટના ડો. આલોક ચક્રવાલની નિમણૂંક
સંઘ સાથે જોડાયેલા કોમર્સ ભવનના સિનિયર પ્રોફેસર ચક્રવાલને મહત્વની જવાબદારી : આવતીકાલે ચાર્જ સંભાળશે
રાજકોટ તા. ૨૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ ભવનના અધ્યાપક અને સંઘ સાથે જોડાયેલા પ્રો. ડો. આલોક ચક્રવાલની ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે છત્તીસગઢની સેન્ટ્રલ યુનિવર્સિટી બિલાસપુર ખાતે કુલપતિ પદે નિમણુંક આપી છે.
કોમર્સ વિષયના નિષ્ણાંત ડો. આલોક ચક્રવાલે અગાઉ પૂર્વ કુલપતિ કનુભાઇ માવાણીના કાર્યકાળમાં પરીક્ષા નિયામક તરીકે યશસ્વી કામગીરી કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-ગ્રેડ અપાવવામાં મહત્વની ભૂમિકા પણ તત્કાલિન આઇકયુએસીના ઓર્ડિનેટર તરીકે પણ ડો. ચક્રવાલ હતા. તેમની આગવી કુનેહ અને યુજીસી સાથે સંકલન સાધી સેલ્ફ સ્ટડી રિપોર્ટ મોકલેલ અને નેક કમિટિએ પણ ડો. ચક્રવાલની કામગીરીની પણ નોંધ લીધી હતી.
ભારત સરકાર દ્વારા પ્રો.ડો. આલોક ચક્રવાલને સેન્ટ્રલ યુનિવર્સિટી છત્તીસગઢ ખાતે પાંચ વર્ષની મુદ્દત માટે નિમણૂંક આપી છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અગાઉ પ્રો. અનામિક શાહ, પ્રો. નિદત્ત બારોટ, પ્રતાપસિંહ ચૌહાણ, ડો. બી.એલ.શર્મા, પ્રો. જતીન સોની, પ્રો. અર્જુનસિંહ રાણા તેમજ બળવંત જાની પણ કુલપતિ પદે પસંદ થયા છે.