રાજકોટ
News of Friday, 23rd July 2021

યુ.પી.ના સુનિલકુમારનું રાજકોટની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન

દર્દીની એન્જીઓગ્રાફી કરતાં ત્રણ નળી બ્લોકેજ હતી, તબીબો દ્વારા સફળ સર્જરી

રાજકોટઃ ''દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવું જ એક પેશન્ટ સુનિલકુમાર આદિત્યનારાયણસીંગ (ઉમર ૪૯ વર્ષ રહેવાસી  ગામ ઓબરા , જીલ્લો સોનભદ્ર, ઉત્તરપ્રદેશ), નિદાન માટે આવેલ હતું. દર્દી  ગામમાં વેલ્ડિંગ નું કામ કરે છે. તથા માસિક આશરે  ૧૫૦૦૦ રૂ.ની આવક છે. કુટુંબમાં પાંચ વ્યકિતઓ છે.

 આ દર્દીને વારંવાર,છાતીનો દૂખાવો થતો હતો ઉપરાંત ડાયાબિટીસથી પીડિત હતા. વારાણસીની હોસ્પિટલમાં  નિદાન માટે ગયા હતા જ્યાંથી તેમને હૃદયનું ઓપરેશન કરવું જરૂરી છે. તેવી સલાહ મળતા તેઓ આર્થીક પરિસ્થિતિને કારણે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ આવેલ હતા.

 અહીં દર્દીને એન્જીઓગાફી કરતા માલુમ પડેલ હતું કે હદયની ત્રણ નસોમાં બ્લોકેજ છે. આથી તેઓનું વિનામૂલ્યે સફળતાપૂર્વક બાયપાસનું ઓપરેશન કરવાંમાં આવેલ હતું અને દર્દીને  સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી હતી.

(2:55 pm IST)