કોઠારીયા સોલવન્ટમાં ટેબલ પંખામાંથી વિજકરંટ લાગતાં રેહાનાબેનનું મોત
બહારગામથી આવી રહેલા પતિ સાથે રાતે સવા બારેક વાગ્યે વાત થઇઃ સાડા ત્રણે પતિ ઘરે આવ્યા ત્યાં પત્નિ બેભાન મળી, છાતી પર ટેબલ પંખો પડયો હતોઃ માસુમ પુત્ર મા વિહોણો થયો
રાજકોટ તા. ૨૩: કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયા હાઉસીંગ બોર્ડમાં રહેતી રેહાનાબેન સરફરાજ સીડા (ઉ.વ.૨૮) નામની પરિણીતાનું ટેબલ પંખામાંથી વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રેહાનાબેન રાતે ઘરે સુતી હતી ત્યારે પતિ સરફરાજ બહારગામ હોઇ રાતે સવા બારેક વાગ્યે પતિએતેણીને ફોન કરી પોતે થોડા કલાકમાં ઘરે પહોંચશે એવી વાત કરી હતી. એ પછી રાતે સાડા ત્રણે પતિ ઘરે આવ્યો ત્યારે પત્નિ બેભાન મળી હતી અને તેની છાતી પર ટેબલ પંખો પડયો હોઇ પતિએ પંખાની સ્વીચ બંધ કરી હતી અને પત્નિને સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરી હતી.
ટેબલ પંખામાંથી વિજકરંટ લાગ્યાનું જણાતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે.