લોધીકા પીપળીયા વચ્ચે હિટ એન્ડ રનઃ ખાંભાના જયવિરસિંહ (જયપાલસિંહ) જાડેજાનું મૃત્યુ થયું
પીપળીયાથી મિત્રને મળી ખાંભા એક્ટીવા પર જતા હતાં ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ઘટના સ્થળે જ દમ તોડયોઃ પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૨૩: લોધીકા અને પીપળીયા વચ્ચે રાત્રીના હિટ એન્ડ રનના બનાવમાં લોધીકાના ખાંભા ગામે રહેતાં જયવિરસિંહ (જયપાલસિંહ) મનહરસિંહ જાડેજા (ઉ.વ.૩૯)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ ખાંભા રહેતાં અને ખેતી કરતાં જયવિરસિંહ (જયપાલસિંહ) જાડેજા ગત સાંજે પોતાનું એક્ટીવા લઇ પીપળીયા ગામે રહેતાં મિત્રને મળવા ગયા હતાં. ત્યાંથી રાતે સાડા નવેક વાગ્યે પરત ખાંભા ઘરે આવી રહ્યા હતાં ત્યારે લોધીકા-પીપળીયા વચ્ચે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં જયવિરસિંહને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. કોઇએ ૧૦૮ બોલાવી હતી અને જયવિરસિંહને શાપર હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃતદેહ જ પહોંચ્યો હોઇ પોલીસે કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેઓ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા નંબરે હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવને પગલે મોટી સંખ્યામાં પરિવારજનો, મિત્રો, સ્વજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. પોલીસે બનાવ અંગે વિશેષ તપાસ યથાવત રાખી છે.