રાજકોટ
News of Sunday, 22nd May 2022

સફેદ વાઘણ ગાયત્રીએ બે નર બાળને જન્‍મ આપ્‍યો

પ્રધ્‍યુમન પાર્ક ઝુમાં નવા મહેમાનોનું આગમન : અત્‍યાર સુધીમાં ૧૧ સફેદ વાઘ બાળનો પ્રધ્‍યુમન પાર્કમાં જન્‍મઃ વાઘણ ગાયત્રીએ ૧૦ બાળ આપ્‍યા

રાજકોટ, તા. ૨૧: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્‍થાના અંતે તા.૧૮ના રોજ વહેલી સવારના સમયે ૨-વાઘ બાળનો જન્‍મ થયેલ છે. માતા ગાયત્રી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્‍ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્‍વામી દ્વારા સંયુક્‍ત માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ ઝૂ ખાતે અગાઉ સફેદ વાઘમાં  ૧૧ બાળનો જન્‍મ થયો છે. જેમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.૦૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૧ માદાનો જન્‍મ થયેલ.

નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૬/૦૫/૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૪ માદાનો જન્‍મ થયેલ.

નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૨/૪/૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૪ (નર-૨ માદા-૨)નો જન્‍મ થયેલ.

ઉપરાંત તાજેતરમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮/૦૫/૨૦૨૨ના રોજ સફેદ વાઘ બાળ નરનો જન્‍મ થયેલ.

આમ રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ ૧૧ સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલ જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્‍ચાંને જન્‍મ આપેલ તેમજ યશોધરા વાઘણે ૧ બચ્‍ચાંને જન્‍મ આપેલ.   

વન્‍યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહની એક જોડી (સિંહ-નીલ તથા સિંહણ-સૌમ્‍યા) વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન આપવામાં આવેલ છે. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવેલ.

પ્રધ્‍યુમન પાર્ક ખાતેનું કુદરતી જંગલ સ્‍વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ-૨નો જન્‍મ થતા સફેદ વાઘની સંખ્‍યા ૬ થઇ ગયેલ છે. જેમાં પુખ્‍ત નર-૧, પુખ્‍ત માદા-૩ તથા બચ્‍ચા-૨નો સમાવેશ થાય છે.

હાલ ઝૂ માં જુદી જુદી ૫૯ પ્રજાતિઓ નાં કુલ-૪૯૦ વન્‍યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્‍યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

(3:22 pm IST)