રાજકોટ પોસ્ટ ઓફિસમાં એકજ દિ'માં ૨૫૯૪ સુકન્યા સમૃધ્ધિ ખાતા ખુલ્યા
લાખાભાઇ સાગઠીયા દ્વારા રૂા. ૨,૫૭,૫૦૦નું યોગાદાન
રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત આપણા દેશની દસ વર્ષથી નાની દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા પોસ્ટ ઓફીસ મારફત ખોલવામાં આવી રહ્યા છે. આ યોજનાને વધુ વેગ આપવા માટે મીનીસ્ટર ઓફ સ્ટેટ, કોમ્યુનિકેશન અને આઇ.ટી. શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ‘‘મારી દીકરી સર્મદ્ધ દીકરી' અભિયાનનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં સીલ્વાસાથી કરવામાં આવ્યો. આ અભિયાન હેઠળ રાજકોટ પોસ્ટલ ડીવીઝન દ્વારા એકજ દિવસમાં કુલ ૨૫૯૪ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ ૧૦૩૦ દીકરીઓના ખાતામાં પ્રારંભિક જમા રાશી ખાતા દીઠ રૂ. ૨૫૦ એમ કુલ રૂ. ૨,૫૭,૫૦૦નું યોગદાન આપીને આ ભગીરથ કાર્યમાં મોટો ફાળો આપેલ છે. અને આ યોગદાન દ્વારા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારથી ૧૦૩૦ દીકરીઓના ખાતા પોસ્ટ ઓફીસ મારફત ખોલવામાં આવેલ છે. તેમ પ્રવર અધિક્ષક ડાક ઘર, રાજકોટ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.