ગુજરાતમાં યોગ થકી આધ્યાત્મિક ચેતના પ્રગટાવીએઃ વિજયભાઇ
રાજકોટમાં ૩૦૦ તો જીલ્લામાં ૬પ૦ જગ્યાઓ ઉપર ૪૦ લાખ લોકોએ સામુહીક યોગ કર્યા
રાજકોટ, તા., ૨૧: ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ‘માનવતા માટે યોગ' થીમ આધારિત ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના આઠમાં સંસ્કરણ નિમિતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપપ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યુ.એન દ્વારા સમગ્ર વિશ્વમાં ૨૧ જુનના દિવસને ‘વિશ્વ યોગ દિવસ' તરીકે પ્રસ્થાપિત કરીને આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરીને દુનિયાને યોગનું દર્શન કરાવ્યું છે. ગુજરાતમાં યોગ થકી આધ્યાત્મિક ચેતના પ્રગટાવીને હેપ્પીનેસ ઈન્ડેક્સ વધારવાના પ્રયત્નો કરવા છે. માત્ર ભૌતિક વિકાસ જ નહીં પણ આધ્યાત્મિક વિકાસ થાય તેવા કાર્યો કરવા માટે કટીબધ્ધ બનીએ.
કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં ૬૪૫ જગ્યાઓ, ૧૧ તાલુકાઓ તથા ૭૫ ઐતિહાસિક સ્થળો ઉપર અંદાજિત ૪.૫૦ લાખ લોકોએ સામુહિક યોગમાં સહભાગી બન્યાનું જણાવી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ડો. વલ્લ્ભભાઈ કથીરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અરૂનકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલીકાના કમિશ્નર શ્રી ધીમંતકુમાર વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી કે.જી. ચૌધરી, લાઠીના ઠાકોર સાહેબશ્રી કિરીટકુમારસિંહ તથા શ્રીમતી ઉષાદેવી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ વાધેલા, એન.સી.સીના કેડેટ્સ, ગુજરાત યોગબોર્ડના સભ્યો, તથા અદાણી ફાઉન્ડેશન સહિત વિવિધ સામાજીક-ધાર્મિક સંસ્થાના સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા