રાજકોટ
News of Thursday, 21st January 2021

શ્વાસ ચડતો હોવાથી કંટાળીને શિવધામ સોસાયટીના રીનાબેનનું અગ્નિસ્નાન

ગંભીર રીતે દાઝી જતાં મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટી-૨માં રહેતાં રીનાબેન સંજયભાઇ પોરીયા (કડીયા) (ઉ.વ.૪૨)એ રાત્રીના અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રીનાબેને રાતે પતિ અને પુત્ર સુઇ ગયા બાદ ફળીયામાં શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લીધી હતી. દેકારો થતાં અને ભડકો થતાં ઉંઘી રહેલા પતિ, પુત્ર તથા અડોશી પડોશી જાગી જતાં આગ બુઝાવી તેમને હોસ્પિટલે ખસેડ્યા હતાં. રીનાબેનના માવતર કોઠારીયા રોડ હુડકોમાં રહે છે. માતાનું નામ લીલાબેન હસમુખભાઇ પરમાર છે. પિતા હયાત નથી.

રીનાબેનના પતિ કડીયા કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક અમદાવાદ કામ કરે છે. સંક્રાંતના બીજા જ દિવસે રીનાબેન પરિવાર સાથે નવા મકાનમાં રહેવા આવ્યા છે. તેણીએ માતા અને સાસુને કહ્યું હતું કે પોતાને ખુબ શ્વાસ ચડતો હોઇ કામ થતું ન હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(1:25 pm IST)