પદ્માવત સંઘર્ષ સમિતિની રચનાઃ તમામ સમાજને સાથે રાખીને લડત
કાલે બપોરે ૧ર વાગ્યે રજપૂતપરામાં ગરાસીયા બોર્ડીંગ ખાતે તમામ સમાજના આગેવાનોની બેઠકઃ ઘડાશે રણનીતિ
રાજકોટ તા.ર૦ : પદ્માવત ફિલ્મ કોઇપણ કાળે રાજકોટ સહિત દેશભરમાં રિલિઝ ન થાય તે માટે ક્ષત્રિય સમાજ આક્રમક મુડમાં છે ત્યારે રણનીતિના ભાગરૂપે માત્ર ક્ષત્રિયો જ નહી પરંતુ તમામ સમાજને સાથે રાખીને લડત ચલાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે શનિવારે બપોરે ગરાસિયા બોર્ડીંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રવિવારે બપોરે ૧ર વાગ્યે ગરાસિયા બોર્ડીંગ ખાતે ક્ષત્રિયો ઉપરાંત તમામ સમાજના આગેવાનો અને હિન્દુ ધર્મનો સંતો-મહંતોની હાજરીમાં આગામી દિવસોમાં શું કરવુ તે અંગેની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. દરમિયાન રાજકોટમાં એક ખાનગી શો-રૂમના ઉદ્દઘાટનના કાર્યક્રમમાં આવેલા શો-રૂમના ઉદ્દઘાટનના કાર્યક્રમમાં આવેલા અનિલ કપુરે પદ્માવત ફિલ્મ રિલિઝ થાય તે માટે કુદરતને પ્રાર્થના કરતો હોવાનું મીડીયા સમક્ષ જણાવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ અનિલ કપુરને નટબજાણિયો ગણાવ્યો હતો અને પૈસા માટે ફિલ્મ જગતના લોકો કોઇપણ કક્ષાએ ઉતરી જતા હોવાનુ પણ કહ્યુ હતુ.
શનિવારે બપોરે હરભજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે જે બેઠક મળી હતી તેમાં રાજપૂત સમાજના તમામ સંગઠનો કરણી સેના, ગુજરાત રાજપુત યુવા સંઘ, કચ્છ-કાઠીયાવાડ ગરાસદાર એસોસીએશન, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન ઉપરાંત શહેરમાં કાર્યરત ક્ષત્રિય સમાજની તમામ નાની-મોટી સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નિર્ણય કરાયો હતો કે, સંજય લીલા ભણશાળીએ માત્ર ક્ષત્રિય સમાજનું જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન કર્યુ છે. ક્ષત્રિયો માટે દેવી સમાન માં પદ્માવતીએ સમગ્ર હિન્દુઓનુ ગૌરવ છે. આમ છતાં સંજય ભણશાળીએ માત્ર રૂપિયા રળવા માટે જ પહેલા પદ્માવતી અને બાદમાં પદ્માવતના નામે ફિલ્મ રિલિઝ કરવા માટેનું હિનકૃત્ય કર્યુ છે. ભારત દેશમાં રહેતા રાજપુતો પદ્માવતના નામે લડાઇ લડી રહ્યા છે ત્યારે અન્ય સમાજના આગેવાનો પણ ક્ષત્રિયોની આ લડાઇને ટેકો આપી રહ્યા છે ત્યારે શનિવારે મળેલી બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે, તમામ સમાજને સાથે રાખીને આગળ વધવુ અને રપમી તારીખે પદ્માવત ફિલ્મ રિલિઝ થવાની છે ત્યારે આ ફિલ્મ કોઇપણ હિસાબે અને કોઇપણ ભોગે સિનેમા ઘરોમાં ન બતાવાય તેથી પુરી તાકાતથી લડવુ અને લોહીના અંતિમબુંદ સુધી લડાઇ ચાલુ રાખવી. આ માટે પદ્માવત સંઘર્ષ સમિતિ (રાજકોટ)ની પણ રચના કરવામાં આવી છે અને હવે પછીના દરેક કાર્યક્રમ આ સમિતિના નેજા હેઠળ જ કરવામાં આવશે તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યુ હતુ.
શનિવારે મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા), હરિશચંદ્રસિંહ જાડેજા (માખાવડ), નરેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા અને રાજભા ઝાલા સહિતના યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.(૩-