આલાપ પાછળ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં પીજીવીસીએલ કર્મી નિરદ અંકલેશ્વરીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત
નોકરીએથી આવવામાં વ્હેલા મોડુ થતાં કલેશ સર્જાતો હોવાથી પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
રાજકોટ તા. ૨૦: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ શ્રીનાથજી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં રહેતાં અને પીજીવીસીએલમાં ફરજ બજાવતાં નિરદભાઇ રમણિકભાઇ અંકલેશ્વરીયા (ઉ.વ.૩૮)એ ઘરે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાવ અંગે ૧૦૮ના ઇએમટી દિનેશભાઇ ધાંધલીયા મારફત જાણ થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સાજીદભાઇ ખિરાણી અને અનુજભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નિરદભાઇ પીજીવીસીએલમાં ફરજ બજાવતાં હતાં. સંતાનમાં સાત વર્ષની દિકરી છે. તેમના પિતા પીડબલ્યુડીના નિવૃત અધિકારી છે. નિરદભાઇને નોકરીએથી ઘરે આવવામાં વ્હેલા મોડુ થતું હોઇ તે બાબતે પત્નિ પ્રિયંકાબેન સાથે કલેશ થતો હોવાથી તેણે કંટાળી જઇ આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.