રાજકોટ
News of Friday, 20th May 2022

દેવનગરમાં બે બહેનના એક જ ભાઇ ૨૦ વર્ષના પ્રદિપનો ગળાફાંસો ખાઇ આપઘાત

ભંગારના ડેલેથી ઘરે ન્‍હાવા જવાનું કહીને નીકળ્‍યા બાદ પગલું : ગાંધીગ્રામ કષ્‍ટભંજન-૧માં ૧૭ વર્ષની ચાંદની ઠાકોરે પણ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું: બંને ઘટનામાં કારણ અકળ

રાજકોટ તા. ૨૦: નાના મવા રોડ દેવનગર-૧માં રહેતાં પ્રદિપ મુળજીભાઇ મકવાણા (ઉ.૨૦) નામના યુવાને સાંજે પોતે પિતા સાથે ભંગારના ડેલે હતો ત્‍યાંથી ઘરે ન્‍હાવા જઇ રહ્યાનું કહીને નીકળ્‍યા બાદ ઘરે પહોંચી પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
ભાઇ પ્રદિપ રૂમમાં ગયા બાદ લાંબો સમય સુધી બહાર ન આવતાં બહેન રિન્‍કૂએ દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં પરિવારજનોને બોલાવી દરવાજો તોડીને જોતાં પ્રદિપ લટકતો મળ્‍યો હતો. તેને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. તે બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં માલવીયાનગર પોલીસે તપાસ યથાવત રાખી છે. બીજા બનાવમાં ગાંધીગ્રામ લાખના બંગલા પાસે કષ્‍ટભંજન સોસાયટી-૧માં રહેતાં મુળ યુપીના પ્રતાપભાઇ ઠાકોરની પુત્રી ચાંદની ઉર્ફ ઉર્વશી (ઉ.૧૭)એ ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચાંદની ચાર બહેનમાં ત્રીજી હતી. તેના પિતા અમેરિકન મકાઇ, મગફળીનો સિઝનલ ધંધો કરે છે. કારણ બહાર ન આવતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ યથાતવ રાખી છે.

 

(3:21 pm IST)