રાજકોટ
News of Thursday, 19th May 2022

રાજકોટ જેલમાં હત્યાના ગુનાના કેદી આકાશે કાચ ખાઇ લીધો

બીજા કેદી અસલમે બિમારીથી વધુ ગોળી પી લીધી

રાજકોટ તા. ૧૯: રાજકોટ જેલમાં રખાયેલા હત્યાના ગુનાના કેદી મુળ ગોંડલના આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.૨૩)એ સાંજે સાડા આઠેક વાગ્યે જેલમાં હતો ત્યારે કાચ ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેલમાં ગમતું ન હોવાનું રટણ તેણે કર્યુ હતું.

બીજા કેદી અસલમ ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૫૦)એ પોતાની બિમારીની દવા ચાલુ હોઇ તેની વધુ ગોળી પી લેતાં તબિયત બગડતાં તેને પણ સિવિલ હોસ્પિટલ પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.

પેટના દુઃખાવાથી કંટાળી કૈલાસે ફિનાઇલ પીધું

માર્કેટ યાર્ડ પાછળ ભીમરાવનગરમાં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં કૈલાસ માવજીભાઇ સોંદરવા (ઉ.૨૮) નામના યુવાને રાતે બે વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. કૈલાસને સંતાનમાં એક પુત્ર છે. છેલ્લા કેટલાક દિવસથી તેને પેટમાં દુઃખતું હોઇ અને ઉલ્ટીઓ થતી હોઇ દવા કરાવવા છતાં સારુ ન થતાં ફિનાઇલ પી ગયાનું જણાવ્યું હતું.

(4:34 pm IST)