દર્દીને વડોદરાથી ચેન્નાઇ એરલીફટ કરાયાઃ ગોકુલ હોસ્પિટલની ટીમની જહેમત
રાજકોટઃ ગોકુલ હોસ્પિટલ રાજકોટની ક્રિટિકલ અને ઇસમોએ ટીમએ રાજયમાં ગંભીર દર્દીઓની સફળ સારવાર કરી અનેક સીમા ચિન્હો હાંસલ કર્યા છે. ગોકુલ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર ટીમ દ્વારા ગંભીર દર્દીઓની ઇસીએમઓ મશીન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે. અને છેલ્લા બે વર્ષમાં ૪૦થી વધુ દર્દીઓને ઇસીએમઓ દ્વારા સફળ સારવાર આપવાની ઉપલબ્ધી મેળવી છે. ઇસીએમઓની ટીમમાં ડો. તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.પ્રિયંકાબા જાડેજા, ડો.હાર્દિક વેકરીયા, ડો.હિરેન વાઢિયા, ડો.સંજય સદાદીયા, ડો.સ્વપિ્ન મોદી, ડો.વિષ્ણુ વંદુર, ડો.આકાશ કોરવાડીયા, ડો.ઋત્વિજ ત્રિવેદી તેમજ નર્સીગ સ્ટાફ પણ તાલિમબદ્ધ હોવાનું યાદીમાં જણાવાયુ છે.
તાજેતરમાં વડોદરા ખાતે ૬૨ વર્ષીય એક દર્દી અતિ ગંભીર ન્યુમોનિયાનો ભોગ બન્યા હતા જેના કારણે દર્દીનાં ફેફસાને ખુબ જ નુકશાન થયુ હતું. અને દર્દીને વેન્ટિલેટરનો ફુલ સપોર્ટ હોવા છતાં દર્દીની તબિયતમાં કોઇ પ્રકારનો સુધારો જોવા મળ્યો હતો નહિ, જેનાં કારણે દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલ, ચેન્નાઇ સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો, કોઇ પણ દર્દીને એરલિફટ કરવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને આ માટે ક્રિટિકલ કેર ક્ષેત્રમાં નિષ્ણાંત હોઇ તેવા ડોકટરની સતત હાજરી ફરજીયાત છે, આ સમગ્ર પ્રક્રિયા માટે ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ અને ઇસીએમઓ ટીમના ડો. હાર્દિક વેકરીયાને ખાસ રાજકોટથી વડોદરા બોલાવાયા હતા. ડો.વેકરીયાએ વડોદરા પહોંચી દર્દીને ઇસીએમઓ પર લીધા અને દર્દની હાલત સ્થિર કરી અને ત્યારબાદ ઇસીએમઓ સાથે એરએમ્યુલન્સ દ્વારા વડોદરાથી ચેન્નાઇ એમજીએમ હોસ્પિટલ ખાતે એરલિફટ કરાયા હતા.