સત્યસાંઇ રોડ પર કારખાનેદારના મકાનમાં થયેલી ૬.૯૭ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ બિપિન પકડાયો
તાલુકા પોલીસે દબોચ્યોઃ કોરોનામાં મૃત્યુ પામનાર પત્નિની સારવાર પાછળ ખર્ચ થતા આર્થિક ભીંસના કારણે ચોરી કર્યાનું રટણ
રાજકોટ તા.૧૮ : શહેરના સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર શ્રીજીકૃપા બંગલો શેરી નં.૧માં રહેતા કારખાનેદારના મકાનમાં થયેલી રૂા.૬.૯૭ લાખના દાગીનાની ચોરીનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સત્યસાંઇ હોસ્પિટલ મેઇન રોડ પર આવેલ શ્રીજીકૃપા બંગલો શેરી નં.૧માં રહેતા કારખાનેદાર ભાવેશભાઇ નરશીભાઇ ખુંટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કર રૂા.૬,૯૭,પ૦૦ ની કિંમતના દાગીના ચોરી જતા ફરીયાદ થઇ હતી. દરમ્યાન એક ચોરાઉ દાગીના વેંચવા આવ્યો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા, હેડ કોન્સ કીશનભાઇ પાંભર, હર્ષરાજસિંહ જાડેજા તથા હરસુખભાઇને બાતમી મળતા મકાનમાં ૬.૯૭ લાખના દાગીનાની ચોરી કરનાર બિપિન કાંતીભાઇ રાચ્છ (ઉ.૬પ) (રહે. સ્વામીનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ કૃષ્ણનગર-૮) ને પકડી લઇ રૂા. ૬,૯૭,પ૦૦ ની કિંમતના દાગીના કબજે કર્યા હતા. આ કામગીરી પી.આઇ. વી. વી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એન.કે. રાજપુરોહીત, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ કિશનભાઇ, કુલદીપસિંહ, ધર્મરાજસિંહ રામદેવસિંહ, હરસુખભાઇ, હર્ષરાજસિંહ, અને કુશલભાઇ દ્વારા કરવામાં આવી હતી.