રાજકોટ
News of Wednesday, 18th May 2022

ભાજપના કાર્યકરો રાજકીય ગતિવિધિ સાથે સામાજિક જવાબદારી નિભાવે છે : પાટીલ

રાજકોટ ડેરીએ કુપોષિત બાળકો માટે વિનામૂલ્‍યે દૂધ આપતા અભિનંદન : ૯૦ દિવસમાં બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાની નેમ : કુપોષણ અભિયાન અંતર્ગત આરોગ્‍યપ્રદ સામગ્રી વિતરણ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખની વાતચીત

રાજકોટ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોષણ અભિયાન અંતર્ગત બાળકોને દૂધ પીવડાવેલ તેમજ આરોગ્‍યપ્રદ સામગ્રીનું વિતરણ કરેલ તે પ્રસંગેની તસ્‍વીરમાં મોહનભાઇ કુંડારીયા, ભરત બોઘરા, ભૂપત બોદર, ડી.ડી.ઓ. દેવ ચૌધરી વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૭ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરો રાજકીય પ્રવૃત્તિઓ સાથે સામાજિક અને સેવાકિય પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપી રહ્યાનું ગૌરવ વ્‍યકત કર્યુ હતું. તેમણે આજે રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકો માટે ડેરી અને ભાજપના સંહયોગથી જિલ્લા પંચાયતના ઉપક્રમે દૂધ, ચોકલેટ જેવી આરોગ્‍યપ્રદ સામગ્રીનું વિતરણ કર્યુ હતું.
આજે રાજકોટ આવી પહોચેલા શ્રી પાટીલે સક્રિટ હાઉસ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને યોજાયેલ સંગઠનની બેઠક પૂર્વે કુપોષિત બાળકો માટે ખાદ્ય સામગ્રીનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે પંચાયત પ્રમુખ ભૂપત બોદર, ડી.ડી.ઓ. દેવ ચૌધરી,સાંસદ મોહનભાઇ કુંડારીયા, માજી ધારાસભ્‍ય ભરત બોઘરા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.  
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ છે જિલ્લાના આગેવાનોએ કુપોષિત બાળકો માટે કુપોષણથી બહાર લાવવા ૯૦ દિવસનુ઼ પોષણ અભિયાન ઉપાડયું છે. ભાજપના કાર્યક્રરો રાજકીય ગતિવિધિ સામે સામાજિક જવાબદારી પણ નિભાવે છે. રાજકોટ ડેરીએ બાળકો માટે વિનામૂલ્‍યે દૂધ આપવાનું જાહેર કર્યુ છે તેને બિરદાવું છું. સૌના સહકારથી કુપોષણ સામે સફળ થઇશું.
શ્રી પાટીલે વડાપ્રધાનના કાર્યક્રમની માહિતી પણ આપી હતી.

 

(3:21 pm IST)