રાજકોટ
News of Thursday, 17th September 2020

રાજકોટ એસ.ટી.માં બહારથી આવતા મુસાફરોનું સવારથી ટેસ્ટીંગ : ટ્રાફિક ઇન્સ્પેકટર કાદરીને કોરોના વળગ્યો

એસ.ટી.માં ગામડા કે શહેરનો ટ્રાફિક સાવ પાંખો : લોકોમાં ભારે ગભરાટ :ડેપો મેનેજરના પિતાને કોરોના આવતા મેનેજર હોમ કોરોન્ટાઇન : મુસાફરો અંગે થશે રીપોર્ટ

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ મહાનગરપાલીકાએ આજે સવારથી એસ.ટી., રેલ્વે, એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરોનું કોરોના અંગે ચેકીંગ શરૂ કર્યુ છે.

દરમિયાન આજ સવારથી નવા બસ પોર્ટના બીજા દરવાજાની અંદરની સાઇડ કોર્પોરેશનના અર્ધો ડઝન ડોકટરોની ટીમ દ્વારા બહારથી આવતા તમામ મુસાફરોનું ચેકીંગ હાથ ધરાયું છે. દરેકનું નામ -સરનામું, મોબાઇલ નંબર, કોના ઘરે આવ્યા, કયાંથી આવ્યા સહીતની તમામ વિગતો લેવાઇ છે. જેમનુ઼ ચેકી઼ગ થયુ તેમનો રીપોર્ટ હવે બપોરે ર વાગ્યા આસપાસ આવશે તેમ સાધનો ઉમેરી રહયા છે. 

ચેકીંગ દરમીયાન ડીવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલ પણ હાજર રહયા હતા. સવારે ૧૧.૩૦ સુધીમાં ૧૭ મુસાફરોનું ચેકીંગ કરાયું પણ તેમાં બધા નેગેટીવ રીપોર્ટ હતા.

દરમિયાન નવા બસ પોર્ટ ઉપર રહેલા ટ્રાફીક ઇન્સ્પેકટર શ્રી કાદરીનો આજે રીપોર્ટ કરાતા તેમને પોઝીટીવ જાહેર થતા સ્ટાફમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કાદરીને હોમ આઇસોલેશન કરી દેવાયા છે.

બીજી બાજુ ડેપો મેનેજર શ્રી નીશાંત વરમોરાના પિતાને કોરોના પોઝીટીવ જાહેર થતા શ્રી વરમોરાને હોમ કોરોન્ટાઇન કરાયા છે.

કોરોનાનો મુસાફરોમાં ભારે ફફડાટ છે. રાજકોટથી અન્ય શહેર અને ગામડાઓની બસો ખાલીખમ દોડી રહી છે. ટ્રાફીક સાવ પાંખો હોવાનું અને મુસાફરોમાં ભારે ગભરાટ હોય કોઇ આવી નહી રહયાનું અધિકારીઓ ઉમેરી રહયા છે.

(3:31 pm IST)