રાજકોટ
News of Tuesday, 17th August 2021

સંત કબીર રોડ પરથી વિપુલનું અપહરણ કરી આજી નદી કાંઠે લઇ જઇ ધોલાઇઃ પાંસળીઓ ભાંગી ગઇ

નીતાના ઘરે માથાકુટ કરવા કોણ જાય છે? કહી બાલીએ ૨૦ દિ' પહેલા માથાકુટ કરી'તી તેનું મનદુઃખ કારણભુતઃ ભંગારનો ધંધાર્થી દેવીપૂજક યુવાન હોસ્પિટલના બિછાનેઃ બાલી ઓડ, સુભો સહિત સાત શખ્સોએ લોખંડ અને પ્લાસ્ટીકના પાઇપ તથા છરીથી હુમલો કર્યોઃ સામે થોરાળા પોલીસે અપહરણ-રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: આજી વસાહત ખોડિયારપરા-૨૮માં રહેતાં ભંગારના ધંધાર્થી વિપુલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૨૯) નામના દેવીપૂજક યુવાનને સામા કાંઠે સંત કબીર રોડ પર હતો ત્યારે સાત શખ્સોએ પાઇપથી માર મારી બાઇકમાં અપહરણ કરી આજી નદી કાંઠે લાવી ફરથી પાઇપ-છરીથી હુમલો કરી પાંસળીઓ ભાંગી નાંખતા હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. વીસેક દિવસ પહેલા ઓડ શખ્સ સાથે એક મહિલા મામલે થયેલી બોલાચાલીને કારણે આ ડખ્ખો થયાનું ખુલ્યું છે.

આ બનાવમાં થોરાળા પોલીસે વિપુલની ફરિયાદ પરથી રામનાથપરા વિસ્તારના બાલી ઓડ, સુભો અને તેની સાથે આવેલા પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૬૫, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

વિપુલ ભંગાર લે-વેંચનું કામ કરે છે અને પોતે માતા, પત્નિ, પુત્રી, ભાઇ તથા બહેન સાથે રહે છે. તેણે પોલીસને કહ્યુ઼ હતું કે સોમવારે હું મારા કામના સ્થળ સંત કબીર રોડ શકિત હોટેલ સામેની સાઇડમાં સબ સ્ટેશન છે ત્યાં મિત્રો સાથે બેઠો હતો હતો. મિત્રો જતાં રહ્યા બાદ હું એકલો હતો તે વખતે આજી નદી કાંઠે રહેતો બાલી ઓડ અને સુભો તથા બીજા પાંચ મોટર સાઇકલમાં અજાણ્યા શખ્સો આવ્યા હતાં. અમુકના હાથમાં લોખંડ તથા પ્લાસ્ટીકના પાઇપ હતાં. આ બધા મને માર મારવા માંડતાં દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હું ત્યાંથી તક જોઇ ભાગીને ચામુંડા હોટેલ તરફ ભાગતાં મારો પીછો કરી મને પકડી લીધો હતો અને બળજબરીથી બાલીના બાઇકમાં  વચ્ચે બેસાડી દીધો હતો.

બાલી પાછળ બેઠો હતો અને અજાણ્યો શખ્સ બાઇક હંકારતો હતો. આ બધા મને ચુનરાવાડ-૧ નદી કાંઠે લઇ ગયા હતાં. ત્યાં ફરીથી મને પાઇપ અને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. એક શખ્સે છરી કાઢી જમણા પગ અને ડાબા પગે ઘા ઝીંકી દીધા હતાં. આ વખતે મારો ભાઇ સુનિલ તથા કુમાર અને બીજા લોકો આવી જતાં મને છોડાવ્યો હતો. એ પછી મને સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મને પાંસડીઓમાં ફ્રેકચર થઇ ગયાનું અને મણા હાથ વચ્ચેની આંગળી તથા જમણા પગ ડાબા પગમાં છરકા જેવી ઇજાઓ થઇ હતી.

આ હુમલાનું કારણ એવું છે કે વીસેક દિવસ પહેલા મારે બાલી ઓડ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારે બાલીએ કહેલું કે-નિતાની ઘરે કોણ બાધવા જાય છે? જેથી મેં કહેલું કે મને ખબર નથી તેની ઘરે કોણ માથાકુટ કરવા જાય છે. આથી તેણે ખાર રાખી તે વખતે ઝઘડો કર્યો હતો. ત્યારે સમાધાન પણ થઇ ગયું હતું. તેનો ખાર રાખી મારું અપહરણ કરી માર માર્યો હતો.  હેડકોન્સ. બી.આર. સોલંકીએ પીઆઇ બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓને શોધી કાઢવા દોડધામ આદરી છે. પીએસઆઇ એચ. જી. ગોહિલ વધુ તપાસ કરે છે.

(3:06 pm IST)