રૈયાધાર શાંતીનગર પાસે બિલ્ડીંગના સાતમા માળે કબુતરનો માળો જોવા જતાં ૧૪ વર્ષની ધ્વની મકવાણા પટકાઇ : મોત
બરોડા રહેતી ધ્વની માતા સાથે વેકેશન કરવા મામાના ઘરે આવી'તી : માતાની નજર સામે દીકરીના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
રાજકોટ તા. ૧૭ : રૈયાધાર શાંતિનગરના ગેઇટ પાસે આવેલા સીટી કોડીયાર્ડ નામના બિલ્ડીંગમાં માસીના ઘરે બારીમાંથી કબુતરનો માળો જોવા જતા બરોડાની ૧૪ વર્ષની સગીરા માતાની નજર સામે જ સાતમા માળેથી પટકાયા બાદ તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર શાંતિનગરના ગેઇટ પાસે આલાપગ્રીન સીટી પાછળ આવેલા સીટી કોડીયાર્ડ નામના બિલ્ડીંગમાં રહેતા માસીના ઘરે આવેલી બરોડાની ૧૪ વર્ષની ધ્વની ચંદ્રેશભાઇ મકવાણા (ઉ.૧૪) બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ. હમીરભાઇ તથા હેડ કોન્સ. વિજયભાઇ બાલસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મૃતક ધ્વની બરોડાના મારૂતીધામ સોસાયટીમાં રહેતી હતી. પિતા બરોડામાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે. તે ધોરણ-૯માં અભ્યાસ કરતી હતી તેને વેકેશન હોઇ, તેથી ધ્વની ગત શનિવારે માતા શીતલબેન ચંદ્રેશભાઇ મકવાણા સાથે રાજકોટ બજરંગવાડી સર્કલ પાસે પુનિતનગર-૨ શેરી નં. ૮માં રહેતા મામા તુષારભાઇના ઘરે રોકાવા આવી હતી. ગઇકાલે રૈયાધાર શાંતિનગરના ગેઇટ પાસે આવેલા સીટી કોડીયાર્ડ એપાર્ટમેન્ટમાં સાતમાં માળે રહેતા તેના માસીના ઘરે જમવાનું હોઇ, તેથી ધ્વની તેની માતા સાથે માસીના ઘરે ગયા હતા. માતા શીતલબેન રૂમમાં સેટી પર બેઠા હતા ત્યારે ધ્વની સેટી પર ચડી બારીમાંથી કબુતરનો માળો જોવા જતા બેલેન્સ ગુમાવતા પટકાઇ હતી. માતા શીતલબેનની નજર સામે પુત્રીને નીચે પટકાતા જોઇ દેકારો મચાવતા એપાર્ટમેન્ટના લોકો એકઠા થઇ ગયા હતા. ધ્વનીને માતા તથા શરીરે ગંભીર ઇજા થઇ હોઇ, તેથી તાકીદે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે