સદ્ગુરૂ સેવા સેતુ પરિવાર દ્વારા મધ્યપ્રદેશના આનંદપુરમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન
રાજકોટ, તા. ૧૭ : સદ્ગુરૂ સેવા સેતુ પરિવાર, રાજકોટ-ગુના-મુંબઇ તથા સદ્ગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ આનંદપુરના સંયુકત ઉપક્રમે ગત ૧પ દિવસીય ૬ઠ્ઠા 'નેત્રયજ્ઞ'નું આયોજન મધ્યપ્રદેશના વિદિશા જીલ્લામાં લટેરી તાલુકાના આનંદપુર ગામમાં શ્રી સદ્ગુરૂ સંકલ્પ નેત્ર ચિકિત્સાલય ખાતે કરવામાં આવેલ.
પૂ. ગુરૂદેવે વર્ષો પહેલા ત્યાં તપ કર્યું હતું અને સંકલ્પ કર્યો હતો કે અહીંયા એક વિશાળ હોસ્પિટલનું આયોજન થાય અને ત્યાં એક વૃક્ષ વાવવામાં આવ્યું અને હોસ્પિટલ થતા પૂ. ગુરૂદેવનો સંકલ્પ પૂર્ણ થયો હતો.
આજે એજ વૃક્ષ વિશાળ વટ વૃક્ષ થઇને શ્રી સદ્ગુરૂ સંકલ્પ નેત્ર ચિકિત્સાલયના નામથી છાયડો આપી રહ્યું છે. હોસ્પિટલમાં આંખના દર્દો, સીટી સ્કેન, બાળકોના આંખના દર્દો, સામાન્ય દર્દો, પ્રસુતિગૃહ, દાંતના રોગો વિગેરે પ્રકારની સારવાર આપવામાં આવે છે.
નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં દર્દીઓને ૧૩ જીલ્લામાં ૭પ જાંચ સેન્ટર દ્વારા આનંદપુર સંસ્થાની બસ દ્વારા આનંદપુર લાવવામાં આવતા હતા. ઓપરેશન પુર્ણ થયા બાદ દરેક દર્દીને એક ધાબળો અને એક ચશ્માની જોડી નિઃશુલ્ક શ્રી સદ્ગુરૂ સેવા સેતુ પરિવાર, રાજકોટ, ગુના, મુંબઇ, અમદાવાદ દ્વારા આપવામાં આવેલ. કુલ ૩૮રર૩ તપાસેલ તેમાંથી ૧ર૯૮પના ઓપરેશન કરવામાં આવેલ. નેત્રયજ્ઞમાં ગોર્વધનભાઇ ઉપાધ્યાય, બીપીનભાઇ હેરમા, બેડલાવાળા પરિવારનો સહયોગ સાંપડેલ હતો. આનંદપુરના મેડીકલ ડાયરેકટર વિશ્નુભાઇ જોબનપુત્રા તથા તેઓના ધર્મપત્ની શ્રીમતિ ભારતીબેન જોબનપુત્રાનો સહયોગ પણ સાંપડયો હતો. તેમ જયદેવ ઓઝા (મો. ૯૮૭૯ર ૭૦૧૦૧)ની યાદીમાં જણાવાયું છે.(૮.૧૪)