રાજકોટ
News of Saturday, 16th January 2021

રાજકોટમાં આજે ૨૧ કેસ : ૫ મોત

કુલ કેસનો આંક ૧૪,૬૫૩ થયોઃ આજ દિન સુધીમાં ૧૩,૯૫૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૦૬ બેડ ખાલી

રાજકોટ, તા.૧૬:  વૈશ્વિક મહામારી કોરોનાથી રાજકોટ શહેર અને જીલ્લામાં આજે ૫ મોત થયા છે. જયારે બપોર સુધીમાં ૨૧  પોઝીટીવ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ  શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી બે  મૃત્યુ જાહેર કર્યુ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમ્યાન ગઇકાલે તા.૧૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૦૬ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૨૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૬૫૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૯૫૭  લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૫.૯૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૩૫૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૭૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૧૫ ટકા થયો  હતો. જયારે ૫૭  દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૧૩,૯૫૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૦  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૨ ટકા થયો છે.

નવા ૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે બાલમુકુંદ પ્લોટ, શ્રી રામપાર્ક, વસુંધરા રેસીડેન્સી, પરિમલ સોસાયટી, લાભદીપ સોસાયટી , મિલાપનગર સહિતના નવા ૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૬ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(4:08 pm IST)