રાજકોટ તાલુકાના જીયાણાના ૫૦થી વધુ ખેડૂતોનો પોકારઃ ખેતરમાં વીજતંત્રની હેવી લાઈન બરબાદ કરશે
કોન્ટ્રાકટર-સર્વેયર ઉપર આક્ષેપોઃ આજીવિકા છીનવાશેઃ આત્મવિલોપનની ચેતવણીઃ કલેકટરને આવેદન
જીયાણાના ખેડૂતોએ વીજતંત્રની હેવી લાઈન સામે ડે. કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ તાલુકાના જીયાણા ગામના ૫૦ થી ૬૦ ખેડૂતોએ સરપંચની આગેવાની હેઠળ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વીજતંત્ર દ્વારા ખેડૂતોને થતો અન્યાય અટકાવવા તેમજ હેવી વીજલાઈન ખેતીની જમીન ઉપર નાખવા સામે વાંધો રજુ કરી યોગ્ય ન્યાય અપાવવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેરાયુ હતું કે, અગાઉ આ વિજલાઈન બીજા સર્વે નંબર કે જેમાં આજુબાજુ ખરાબો પણ આવેલ છે જેથી ફકત થોડા ખેડૂતોની જમીન કે જે મોટા સર્વે નંબરની હોય તેઓને કોઈ ખેતીમાં અડચણરૂપ નથી થતી જ્યારે હાલ જે સર્વે મુજબ વિજ લાઈન પસાર થાય છે તેમા મોટા ભાગના નાના સર્વે નંબરના અને ઘણા બધા ખેડૂતોની આજીવીકા છીનવાઈ જાય તેમ છે. ઙ્ગ
અમોને જાણ મુજબ અગાઉના સર્વેમાંથી આ સર્વેમાં લાઈન પસાર કરવા કોન્ટ્રાકટર-સર્વેયરને કોઈ મીલીભગત-દબાણ પણ છે માટે આપશ્રીને નમ્ર અરજ છે કે આ વિજલાઈન ફરી સર્વે કરાવવા વિનંતી છે.
આવેદનમાં ૩૩ ખેડૂતોના નામ-સર્વે નંબર આપી ઉમેરાયુ હતુ કે, અમારી આ જમીનમાં અમો ખેડૂતો ખેતી કરીએ છીએ અને અમારૂ ગુજરાન ચલાવીએ છીએ. અમારી આજીવીકા સમાન આ ખેતીની જમીન ઉપરથી થઈને હેવી વિદ્યુત લાઈન પસાર કરવા માટે સર્વે કરવામાં આવેલ છે. આ સર્વે મુજબ લાઈન ખરાબાની જમીન ઉપરથી પસાર કરવાના બદલે અમારી આજીવીકાની ખેતીની જમીન ઉપરથી પસાર કરવા માંગે છે. અમુક લોકોના ફાયદા માટે આડા અવડી લાઈન પસાર કરવામાં આવે છે.
અગર અમારી જમીન ઉપરથી વિદ્યુત લાઈન પસાર થશે તો અમારી ખેતીની જમીન બરબાદ થઈ જશે અને અમારી આજીવીકા છીનવાઈ જશે. અગર આનો કોઈ વહેલી તકે નિકાલ નહી આવે તે ખેડૂતોને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને આના જવાબદાર કોણ ? તેવો વેધક સવાલલ ઉઠાવ્યો છે અને તાકીદે યોગ્ય કરવા માંગણી કરી હતી.
આવેનપત્ર દેવામાં ગામના સરપંચ ઉપરાંત મગનભાઈ ભરવાડ, બાબુભાઈ લીંબાસીયા, રઘુભાઈ લીંબાસીયા, બચુભાઈ રામાણી, કડવાભાઈ રામાણી, રૂખડભાઈ રામાણી વગેરે ૪૦ થી ૫૦ ખેડૂતો-આગેવાનો જોડાયા હતા.