અમી ગણાત્રાએ બનાવ્યો ‘રસોઇસ્ટુડીયો': રવિવારે લોકાર્પણ
માસ્ટર શેફ પદમશ્રી સંજીવકપૂર આવશે
રાજકોટ તા. ૧પઃ સ્વાદ શોખીનોના ટેસ્ટને સંતોષતા રસોઇ કલાનાં વ્યવસાયને એક પ્લેટફોર્મ પુરૂં પાડી શકાય તે માટે રાજકોટની દીકરી શેફ અમી ગણાત્રા દ્વારા રાજકોટમાં ગુજરાતના પ્રથમ ‘શેફ ઇરા રસોઇ સ્ટુડિયો'ની શરૂઆત થઇ રહી છે. જેનું અનાવરણ તા. ૧૭ના રવિવારે ભારતના પ્રખ્યાત માસ્ટર શેફ પ્રદ્મશ્રી સંજીવ કપૂર દ્વારા કરવામાં આવશે.
વીઆઇએચટીએમ માંથી હોટલ મેનેજમેન્ટ અને બેકરી સ્પેશ્યલાઇઝેશનની ડિગ્રી મેળવનાર કુકિંગ કનસલ્ટન્ટ અને બેકર અમી ગણાત્રાએ જણાવ્યું છે કે, કેટલાય એવા યુવક-યુવતીઓ છે જેની પાસે રસોઇની કલા તો છે પણ તેને યોગ્ય દિશા નથી મળતી. તેઓની આ પાકકલા રસોડા સુધી સીમિત રહી જાય છે ત્યારે આવા લોકોને તેની રસોઇકલાને નીખારવાની તક મળે તેવા હેતુથી અમે રસોઇ સ્ટુડીયો ખુલ્લો મૂકવા જઇ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે અમી ગણાત્રાએ માસ્ટર શેફ પદ્મશ્રી સંજીવકપૂર પાસેથી રસોઇની ટ્રેનીંગ મેળવી દેશ-વિદેશની અનેક વાનગીઓ શીખ્યા છે. તા. ૧૭ના રવિવારે અક્ષર માર્ગ, કમાલાવડ રોડ પર તેમના રસોઇ સ્ટુડીયોને લોકાર્પણ કરાશે. જેમાં રૂમી મોરજરિયા અને વેજીકો ટ્રીનો સંપૂર્ણ સહયોગ સાંપડી રહ્યો છે.