ગોંડલ રોડ પુનિતનગર પાછળ ગોવિંદ રત્ન ગ્રીનસીટીમાં ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકયા
પંકજભાઇ પટેલના ઘરમાંથી ૧.૨૦ લાખની મત્તા ગઇઃ અન્ય બે મકાનમાં ચોરી
રાજકોટ તા. ૧૪: તસ્કરોએ ઉપાડો લેવાનું ચાલુ જ રાખ્યું છે. ગોંડલ રોડ પર પુનિતનગર પાછળ આવેલા ગોવિંદરત્ન ગ્રીનસીટીમાં તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડી હાથફેરો કર્યા છે. ફૂટવેરના હોલસેલ વેપારી પંકજભાઇ પટેલના મકાનની બારી તોડી અંદર ઘુસી તસ્કરો રૂ. ૧ લાખ ૨૦ હજારની રોકડ ચોરી ગયા છે. આ પરિવાર ઘરમાં જ સુતો હતો. તેની ઉંઘમાં ખલેલ પાડ્યા વગર આ ચોરી કરાઇ હતી. બાજુમાં આવેલા લક્ષ્મીશંકરભાઇ જોષીના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. તેઓ અમરેલી ગયા હતાં. અન્ય એક મકાનમાં પણ તાળા તુટ્યા છે. આ મકાન ગ્રીનસીટીની પાછળના ભાગમાં છે. જ્યાં ચોરી થઇ તે મકાનો અને વેરવિખેર ચીજવસ્તુઓ જોઇ શકાય છે. તાલુકા પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. એમ. ટી. રબારી અને ડી. સ્ટાફ દોડી ગયો હતો. જો કે ફરિયાદ નોંધાવાઇ નથી. (ફોટોઃ સંદિપ બગથરીયા)