સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર રસીક ઉર્ફે દીલી પકડાયો
રાજકોટ, તા. ૧૪ : શહેરના ભકિતનગર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર ધારીના ધારગણી ગામના દેવીપૂજક શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ ભકિતનગર વિસ્તારમાં અગીયાર મહિના પહેલા વેલનાથપરા મામા પીરના મંદિર પાસે રહેતો રસીક ઉર્ફે દીલી હીમતભાઇ દેવીપૂજક નામનો શખ્સ ૧૬ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે રસીક ઉર્ફે દીલી વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. દરમ્યાન પીઆઇ વી.કે. ગઢવી તથા રાઇટર નિલેષભાઇ સહિતના સ્ટાફે બાતમીના આધારે ગઇકાલે અમરેલીના ધારી તાલુકાના ધારગણી ગામેથી રસીક ઉર્ફે દીલી હીમતભાઇ સોલંકી (ઉ.વ.ર૩)ને પકડી લીધો હતો. તપાસ દરમ્યાન દેવીપૂજક શખ્સે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવતા પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી તપાસ આદરી છે. દેવીપૂજક શખ્સ સગીરાને ભગાડીને મહુવા પાસે રહેતો હતો.