કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી સાથે યોજાયેલ બેઠકમાં ધારાસભ્યો દ્વારા જમીન દબાણના ઢગલાબંધ પ્રશ્નો રજૂ થયા
કલેકટર દ્વારા હીરાસર એરપોર્ટ - એઇમ્સ - નવી પદ્મકુંવરબા હોસ્પિટલ - ખંભાલીડા ગુફા - ઓસમ ડુંગર - ઇશ્વરીયા પાર્ક સહિતના વિકાસકામો અંગે પ્રેઝન્ટેશન : ગેસ કનેકશન, ચેકડેમ રીપેરીંગ, સિમેન્ટ રોડ, સસ્તા અનાજની દુકાનો, જેટકોની હાઇટેન્શન લાઇન અંગે વિસ્તૃત રજૂઆતો
રાજકોટ તા. ૧૪ : ગઇકાલે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગોના પેન્ડીંગ પ્રશ્નોના વિધેયાત્મક વાતાવરણમાં નિરાકરણ લાવવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. ધારાસભ્યો તથા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો જેવાકે સરકારી અને ખાનગી માલિકીની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા, ગેસ કનેકશન વગેરે પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ નિરાકરણ અર્થે પેશ કર્યા હતા. જે અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમામ બાબતો અંગે તેઓ સબંધિત વિભાગ સાથે સત્વરે પરામર્શ કરી સમસ્યાનો ઉપાય શોધવા પૂરતા પ્રયત્નો કરશે, ખાસ કરીને ધારાસભ્યો દ્વારા રાજકોટ શહેર - જિલ્લામાં જમીન દબાણ અંગે ઢગલાબંધ પ્રશ્નો રજૂ થયા હતા.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર શ્રી કે.બી. ઠક્કરે ઉપસ્થિતોને આવકાર્યા હતા, જયારે કલેકટરશ્રી અરૃણ મહેશ બાબુએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ કામો અંગે જિલ્લા કલેકટરશ્રીએ વાકેફ કર્યા હતા, જેમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિકટ કોર્ટ બિલ્ડિંગ, પદ્મકુવરબા હોસ્પિટલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઈશ્વરીયા પાર્ક, માધાપર સર્કલ ફલાય ઓવર બ્રિજ, મેન્ટલી રીટાર્ડેડ હોમ, મિલ્ક પ્રોસેસિંગ મેગા ડેરી પ્લાન્ટ, રાજકોટ શહેર-૨, ગ્રામ્ય અને ધોરાજીની નવી પ્રાન્ત કચેરીઓ, મનુબેન ઢેબર સેનેટોરીયમની જગ્યાએ ૧૦૦ બેડની ફિલ્ડ હોસ્પિટલ, ઓસમ ડુંગર ખાતે આર્ટિફિશિયલ વોટરફોલ, ઘેલા સોમનાથનું મદિર, ખંભાલિડાની ગુફાઓ, ગોંડલ-જેતપુર સિકસ લેન હાઇવે, રાજકોટ-અમદાવાદ હાઇવેનુ નવીનીકરણ વગેરે અંગેની વિગતોનો સમાવેશ થાય છે. ધારાસભ્યો તથા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ નિરાકરણ અર્થે પેશ કર્યા હતા. જી.આઇ.ડી.સી.માં ફાયર સ્ટેશન બનાવવા અંગે મુખ્યમંત્રીશ્રીને આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. ચેકડેમ રીપેરીંગ, સિમેન્ટ રોડના નિર્માણ કાર્ય, સસ્તા અનાજની દુકાન, જેટકોની હાઈટેન્શન લાઈન, વગેરે બાબતો અંગેના પ્રશ્નો પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરાયા હતા.
આ બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહમદ, રેન્જ આઈ.જી. શ્રી સંદીપ કુમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી.શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, નગરપાલિકા ઝોનના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંતકુમાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર શ્રી કે. બી. ઠક્કર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણી અને શ્રી એ.કે.સિંઘ, એડિશનલ કલેકટર શ્રી એન.એફ.ચૌધરી તથા શ્રી એન.આર. ધાધલ, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી સંદીપ વર્માં, વિરેન દેસાઈ, જયેશ લીખીયા, એમ.વી.બાટી તથા પ્રજ્ઞાબેન ગોંડલીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણ, જીલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, ભાજપ અગ્રણીઓ સર્વશ્રી કમલેશભાઈ મીરાણી, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, જિલ્લા પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.