શિતલ પાર્ક પાસે મુંજકાના સીટકવરના ધંધાર્થીએ દેણાથી કંટાળી ફિનાઇલ પીધું
ધંધા માટે સગા પાસેથી છએક લાખ લીધા હોઇ સમયસર ચુકવી ન શકતાં અને ઉઘરાણીના ફોન ચાલુ થતાં પગલુ ભર્યાનું કથન
રાજકોટ તા. ૧૩: મુંજકા ગામે તેર માળીયા ક્વાર્ટર ૨૦૨-એ ખાતે રહેતાં અજય શાંતિલાલ વાઢેર (ઉ.૩૧) નામના મોચી યુવાને રાતે નવેક વાગ્યે ગાંધીગ્રામ ઉગતા પોરની મેલડી માતાના મંદિરથી આગળ શિતલ પાર્ક ટ્રાફિક ટોઇંગ સ્ટેશન નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
અજય વાઢેરે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યં હતું કે તે ત્રણ ભાઇમાં નાનો છે અને શિતલ પાર્ક નજીક જ મોમાઇ સીટ કવર નામે દૂકાન ચલાવે છે. ધંધા માટે થોડા મહિના પહેલા સગા સંબંધીઓ પાસેથી છએક લાખની રકમ ઉછીની લીધી હતી. આ રકમ સમયસર ચુકવી શકાઇ ન હોઇ ઉઘરાણીના ફોન ચાલુ થતાં ચિંતામાં મુકાઇ જવાથી આ પગલુ ભરી લીધું હતુ઼. જો કે સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.