રાજકોટ જેલ ખાતે વડોદરાના એસઆરપીમેન જેસીંગભાઇ એસ. ડામોરનું હાર્ટએટેકથી મોત
વડોદરા મકરપુરાના વતનીઃ છ દિવસ પહેલા જ નોકરી પર આવ્યા'તા
રાજકોટ તા. ૧૩: વડોદરા મકરપુરામાં રહેતાં અને એસઆરપી ગ્રુપ-૯માં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જેસીંગભાઇ સાલમભાઇ ડામોર (ઉ.૫૮) રાત્રે દસેક વાગ્યે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે સી-કંપનીના મેજર તરીકે ફરજ પર હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં તાકીદે પી.એસ.આઇ. પાટીલ સહિતના સ્ટાફે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં પ્ર.નગરના પી.એસ.આઇ. બી. પી. વેગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના સ્વજનો સવારે આવી પહોંચ્યા હતાં. જેસીંગભાઇ બે બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્રો છે. અમદાવાદ ખાતે નોકરી હોઇ ત્યાંથી છ દિવસ પહેલા જ રાજકોટ જેલ ખાતે ફરજ પર આવ્યા હતાં. બનાવથી સ્વજનોમાં શોક વ્યાપી ગયો હતો.