દેશભકિતના રંગે રંગાયુ રાજકોટ : જિલ્લા પંચાયત ચોક ખાતે તિરંગા યાત્રાનું કરાયેલુ ભવ્ય સ્વાગત
રાજકોટ તા. ૧૨ : સમગ્ર રાજકોટ આજે તિરંગાના રંગમાં રંગાયું છે, ત્યારે આ અભિયાન થકી વધુને વધુ લોકો દેશભક્તિ તરફ પ્રેરિત થાય તે માટે રાજકોટના બહુમાળી ભવન ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા પ્રારંભ થયો હતો.
જેનું રાજકોટ જિલ્લા પંચાયત ચોકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર, શહેર અગ્રણીશ્રી સહદેવસિંહ, રક્ષાબેન બોળીયા અને વલ્લભભાઈ કથીરિયા સહિતના જિલ્લા પંચાયતના સદસ્યો તથા અન્ય મહાનુભાવોએ યાત્રાને આવકારી હતી. મુખ્યમંત્રીના સ્વાગત માટે વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો પર નૃત્ય કર્યું હતું અને આઝાદીના ૭૫ વર્ષ પહેલાના સંઘર્ષને યાદ કરાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. જેમાં આઝાદીના લડવૈયાઓના વેશભૂષા સાથે દરેક બાળકોએ દેશની વિવિધતામાં એકતાની ઝાંખી કરાવી હતી.