કલેકટર કચેરી ખાતે પાકિસ્તાનથી રાજકોટ આવેલા ૨૪ હિંદુ પરિવારો - લોકોને ભારતનું નાગરિકત્વ આપતા હર્ષ સંઘવી
આપણો મહાન દેશ નાગરિકત્વ પ્રાપ્ત કરનાર લોકોને તેમના સ્વપ્નોને પૂરા કરવા માટેની તકો આપશે : ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થતા લોકોની આંખમાં હરખના આંસુ : અગાઉ જેમને અપાયા તે ૪૦ લોકોને પણ મળ્યા : સરદાર પટેલને પુષ્પાંજલી બાદ ભારત માતાનું પૂજન : સ્કેટીંગના બાળકોને મળી ગૃહમંત્રી ભાવવિભોર
રાજકોટ : રાજકોટમાં તિરંગા યાત્રા પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા અન્ય મહાનુભાવોએ ભારતના લોખંડી પુરૂષ શ્રી સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પછી ભારત માતાનું પૂજન કર્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાનાર સ્કેટીંગના ૧૦૦ બાળકોને મળી ભાવવિભોર બન્યા હતા. નાનકડી દિકરી સાથે હાથ મીલાવી વાર્તાલાપ કરી ખુશખુશાલ બન્યા હતા.
રાજકોટ તા. ૧૨ : રાજકોટ ખાતેથી ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતરિત થયેલાં રાજકોટનાં ૨૪ લોકોને ભારતીય નાગરિકત્વ અર્પણ કરાવામાં આવ્યું હતું. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આજે ૨૪ લોકોને આઝાદીના મહત્વનો લાગણીસભર અનુભવ ગૃહરાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તેમને ભારતીય નાગરિકત્વ સર્ટીફિકેટ આપીને કરાવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતાં લોકોની આંખોમાં હરખનાં આસું જોવા મળ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ૨૪ નાગરિકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આખો દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ'ને ઉજવી રહ્યો છે. આજે તિરંગા યાત્રાનું આયોજન કરીને રાજકોટ શહેરમાં નવો ઇતિહાસ રચાયો છે. દરેક રાજકોટવાસી તિરંગો લહેરાવીને દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે રાજકોટ જિલ્લામાં આજે વધુ એક હદય સ્પર્શી વાત બની છે. આજે પાકિસ્તામાંથી ભારતમાં અને તેમાં પણ રાજકોટમાં સ્થળાંતરિત થયેલાં લોકોને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું.
એવીએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી કિશોરી કેશર શંકરચંદે ગૃહમંત્રીશ્રીનો આભાર માનીને કહ્યું હતું કે, આજે મારા સ્વપ્નોને સાચા અર્થમાં નવી ઉડાન મળી છે. ભારતીય નાગરિકત્વ ન હોવાને કારણે મારા સ્વપ્નને પૂર્ણ કરવામાં અનેક અડચણો આવતી હતી પરંતુ આજે નાગરિકત્વ મળતાં એ અડચણો દૂર થઈ ગઈ છે.
કિશોરી કેશરની આ વાતને ધ્યાને લઈને મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, બહેન કેશરને ઉંચી ઉડાન ભરવા માટે નાગરિકત્વ મળી ચુક્યું છે. તેમનું એવીએશન ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જલ્દી પૂરું થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉપરાંત મહાન ભારત દેશના નાગરિક બનવાનો અવસર મળ્યો જે ગર્વની વાત છે. સૌના સુખે સુખી અને સૌના દુઃખે દુઃખી થવાની કૌટુંબિક ભાવના રાખતો ભારત દેશ તમારા સ્વપ્નોને પુરા કરવા માટે શ્રેષ્ઠ તકો પુરી પાડશે.
આ અવસરે મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોને પ્રસંશાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, સ્પેશ્યિલ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ સહિતના પોલીસ જવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.