યાજ્ઞિક રોડ પર સવારે ત્રિરંગા યાત્રા દરમિયાન બંને તરફ ટ્રાફિક ખોરંભાયો : વાહન ચાલકો-રાહદારીઓ હેરાન પરેશાન
રાજકોટ,તા.૧૨ : આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આજે રાજકોટના બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી ૨ કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. સવારે ૯ કલાકે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા અને દેશપ્રેમ વ્યકત કર્યો હતો. તિરંગા યાત્રા યાજ્ઞિક રોડ પરથી પસાર થઇ ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા બંને તરફની અવર-જવર અટકાવી દેવામાં આવી હતી. જેને લઇને સવારે નોકરી ધંધા માટે નીકળેલા રાહદારી ઓ અને વાહન ચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડયો હતો. જો કે, પોલીસ કમિશનર શ્રી દ્વારા સવારે ૯ થી ૧૧ દરમ્યાન યાજ્ઞિક રોડને જોડતા બંને તરફના માર્ગો બંધ જાહેર કરતુ જાહેરનામુ અગાઉથી જ ફરમાવી લોકોને આ રૂટનો ઉપયોગ નહીં કરવા જણાવાયું હતું. જાહેરનામાથી અજ્ઞાત લોકોને યાત્રા દરમિયાન જગ્યાએ જગ્યાએ હેરાન પરેશાન થવુ પડતા દેકારો મચી ગયો હતો.