રાજકોટ
News of Monday, 12th February 2018

માસુમ બાળાનો હવસખોર હત્યારો રિક્ષામાંથી ગંજીવાડાના નાકે ઉતરી ગયો'તો

શહેરમાં આદિવાસી દંપતિની ૩ વર્ષની પુત્રીનું શુક્રવારે ભરબપોરે અપહરણ થયું ને રવિવારે પીટીસી મેદાનના ખંઢેરમાંથી નગ્ન લાશ મળતાં ખળભળાટ : ૮૦ ફુટ ચોકડીના ફૂટેજમાં રિક્ષામાં માત્ર ચાલક એકલો જ દેખાય છેઃ પચાસથી વધુની પુછતાછઃ ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની આશા

માસુમની હત્યાથી હાહાકારઃ શુક્રવારે બપોરે ચુનારાવાડ ચોકમાંથી જે ત્રણ વર્ષની ફુલડા જેવી આદિવાસી દંપતિની દિકરીને ઉઠાવી જવાઇ હતી તેનો ફાઇલ ફોટો, ગઇકાલે આ બાળકીની પીટીસી પટના ખંઢેરમાંથી હત્યા કરાયેલી લાશ મળી તે સ્થળે પોલીસ અધિકારીઓની ટીમો, લોકોના ટોળેટોળા અને સીસીટીવી ફૂટેજમાં બાળકીને લઇ જતો શકમંદ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) બાળકીને જેમાં બેસાડીને હવસખોર લઇ ગયો હતો તે રિક્ષાના સીસીટીવી ફૂટેજઃ રિક્ષાચાલક મળી ગયો, હત્યારો હજૂ પોલીસથી દૂર

રાજકોટ તા. ૧૨: શહેરમાં એક પછી એક હત્યાના ત્રણ બનાવ બની ચુકયા છે. શુક્રવારે બપોરે પોણા બારથી બાર સુધીના ગાળામાં  ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોક વોંકળા પાસેથી મધ્યપ્રદેશના આદિવાસી દંપતિની ૩ વર્ષની દિકરીનું અપહરણ થયું હતું. આ બાળાની રવિવારે ગંજીવાડા નજીક પીટીસી પટના ખંઢેરમાંથી નગ્ન લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તપાસનો ધમધમાટ કરતાં એક શખ્સ આ બાળાને તેડીને જતો હોવાના અને રિક્ષામાં બેઠો હોવાના સીસીટીવી ફૂટેજ દેખાયા હતાં. જો કે આ શખ્સનો ચહેરો સ્પષ્ટ દખાતો નથી. ગંજીવાડાના નાકા પછી આ રિક્ષા આગળ વધી ૮૦ ફુટ ચોકડીએ આવે છે, ત્યારે રિક્ષામાં માત્ર ચાલક જ હોય છે. નરપિશાચ ગંજીવાડા નાકે જ ઉતરી ગયાનું આ ફુટેજ પરથી સમજાયું હતું. પોલીસે રિક્ષાચાલકને તો શોધી લીધો છે, પણ હવસખોર હત્યારો હાથમાં આવ્યો નથી. તેને દબોચી લેવા આઠથી વધુ ટીમો ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કામે લાગી છે. ઝડપથી સફળતા મળવાની આશા છે. બળાત્કાર ગુજારી હત્યા કરાયાનું પણ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પરથી સ્પષ્ટ થયું છે.

ચુનારાવાડના વોંકળા પાસે આર.એમ.સી.ની નવી વોર્ડ ઓફિસનું બાંધકામ ચાલતું હોઇ ત્યાં મુળ મધ્ય પ્રદેશ જાંબુવાના કલ્યાણપુરાના મસુરીયા ગામનો વતની અને હાલ જલજીત હોલ પાસે ગીતાંજલી સોસાયટીમાં સાઇટ પર રહેતો દિનેશ બાદુભાઇ ભાભોર (ઉ.૨૭) તેની પત્નિ સાથે કેટલાક દિવસથી મજૂરીએ

આવે છે. સાથે પોતાની ૩ વર્ષની દિકરીને પણ તે લાવતાં હતાં. શુક્રવારે બપોરે પોણા બારથી બાર વચ્ચે તેની માસુમ દિકરી રમતી-રમતી ગૂમ થઇ જતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ .એન. એન. ચુડાસમા, અજીતભાઇ ડાભી સહિતએ સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જુદા-જુદા સીસીટીવી ફૂટેજની ચકાસણી થતાં એક શખ્સ બાળકીને લઇ જતો અને રિક્ષામાં બેસતો દેખાયો હતો.

બાળકીનું અપહરણ જ થયાનું સ્પષ્ટ થઇ જતાં ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા હતાં. એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. ચુડાસમા, પી.એસ.આઇ. જાદવ, એએસઆઇ ઝાલા, ફિરોઝભાઇ શેખ, જાહીરખાન, મશરીભાઇ, રોહિત કછોડ, વિજયભાઇ અને ટીમે શુક્રવારે રાતે જ  સતત દોડધામ શરૂ કરી હતી. ગઇકાલે જ્યાંથી લાશ મળી એ પીટીસીના ખંઢેરમાં પણ તપાસ કરી હતી. પણ ત્યારે કંઇ નહોતું. એ પછી ગઇકાલે ત્યાંથી લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસને પહેલા તો અપહૃત બાળકીના કપડા મળી આવ્યા હતાં. બાદમાં અંદરના રૂમમાં જતાં ગોદડામાંથી બાળાની નગ્ન લાશ મળી હતી. તેના મોઢા-માથા પર પથ્થરના ઘા ઝીંકાયાનું જણાયું હતું. બાળકીનો દેહ પીંખ્યા બાદ નરપિશાચે તેણીને પતાવી દીધાનું પ્રાથમિક તારણ નીકળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. બાળાની હત્યા પહેલા દૂષ્કર્મ થયાની દ્રઢ શંકા હોઇ આજે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જેના રિપોર્ટમાં આ શંકા સાચી ઠરી છે.

માસુમ બાળકી સાથે વિકૃત માનસ ધરાવતાં હવસખોરે આવુ કૃત્ય આચરતા સોૈ કોઇ ચોંકી ગયા છે. ભારે રોષ ફેલાઇ ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આઠ જુદી-જુદી ટીમોને આ ગુનાનો ભેદ ઉકેલવા કામે લગાડાઇ છે. તમામ પોલીસ મથકના પી.આઇ. અને ડી. સ્ટાફની ટીમો, ક્રાઇમ બ્રાંચની ટીમો, એસઓજી, પેરોલ ફરલો સ્કવોડની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરી મોડી રાત સુધીમાં પચાસેક જેટલા શખ્સોની પુછતાછ કરી લીધી છે.

દંપતિની એકની એક દિકરી હતી

ત્રણ વર્ષની દિકરી ગૂમાવનાર આદિવાસી દંપતિ દિનેશ અને રમિકાને સંતાનમાં અબે પુત્રો અને એક પુત્રી છે. તેના પુત્રો હાલ વતનમાં છે. આથી દિનેશ અને પત્નિ રમિકા એકની એક દિકરીને પોતે જ્યાં કામે જતાં ત્યાં સાથે લઇ જતાં હતાં.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક શકમંદને ઉઠાવી લીધો હતો. પરંતુ તેની વિશીષ્ટ ઢબની પુછતાછમાં તે આ કૃત્યથી તદ્દન અજાણ હોવાનું ખુલતાં તેની પાસેથી કોઇ માહિતી મળી નથી. અન્ય ફૂટેજમાં બાળકીને ઉઠાવનારો હવસખોર જે રિક્ષામાં બેસે છે તે ગંજીવાડા નાકાથી આગળ જતાં એંસી ફુટ ચોકડીએ પહોંચે છે ત્યારે તેમાં ડ્રાઇવર એકલો જ દેખાય છે. આ જોતાં એ હવસખોર ગંજીવાડા નાકે ઉતરી ગયાનું સમજાયુ હતું. હવસખોર જે રિક્ષામાં બાળા સાથે બેઠો હતો એ રિક્ષાનો ચાલક તો મળી ગયો છે. પણ પોતે અપહરણ થયાની વાતથી અજાણ હોવાનું કહે છે. તેની પાસેથી એ શખ્સનું વર્ણન મેળવવા પોલીસ કયાવત કરી રહી છે. રિક્ષામાં બાળાને અપહરણકારે ખોળામાં બેસાડી હતી, એ ખુબ રડતી હોવાનું જસદણના રિક્ષાચાલકે કહ્યું છે. તે ભાડુ મુકવા આવ્યો હતો અને ગંજીવાડાના નાકા સુધી બાળા સાથેના શખ્સને બેસાડ્યાનું તેણે કહ્યું હતું.

ગંજીવાડા નાકે એ શખ્સ બાળકી સાથે ઉતરી ગયા બાદ પીટીસીના પટમાં કે પછી અન્ય કોઇ સ્થળે લઇ ગયા બાદ શનિવારે મોડી રાત્રે કે રવિવારે વહેલી સવારે દુષ્કર્મ આચરી પતાવી દઇ ભાગી ગયાનું સમજાય છે. આ ભેદ ઉકેલવા પોલીસ સતત મથામણ કરી રહી છે.

દૂષ્કર્મ ગુજારાયા બાદ બોથડ પદાર્થ-પથ્થર ફટકારી હત્યાઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ

. જે બાળાની લાશ મળી તેના અપહરણનો ગુનો થોરાળા પોલીસમાં નોંધાઇ ચુકયો છે. દૂષ્કર્મ આચરીને હત્યા કરાઇ હતી કે કેમ? તે સ્પષ્ટ કરાવવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું. જેમાં દૂષ્કર્મ આચરાયાનું અને બાદમાં બોથડ પદાર્થ કે પથ્થર ફટકારી હત્યા કરાયાનું સ્પષ્ટ થતાં અગાઉના અપહરણના ગુના નં. ૧૫/૨૦૧૮માં દુષ્કર્મ, પોસ્કો, હત્યા સહિતની કલમોને ઉમેરો કરવા તજવીજ કરવામાં આવી રહી છે. 

જ્યાં લાશ મળી એ પીટીસીનું ખંઢેર આવારા-નશાખોરોનું આશ્રય સ્થાનઃ ધોળે દિવસે પણ અહિથી નીકળતાં લોકો ધ્રુજે છે

. શુક્રવારે ચુનારાવાડ ચોકમાંથી જે ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ થયું તેની ગઇકાલે રવિવારે ગંજીવાડા નજીક પીટીસીના ગ્રાઉન્ડમાં આવેલા ખંઢેર થઇ ગયેલા ઇમલામાં રોજબરોજ નશાખોરો અને આવારા તત્વોનો અડ્ડો જામતો હોવાની આ વિસ્તારના રહેવાસીઓએ ફરિયાદો કરી હતી. અહિ છેલ્લા દસેક વર્ષમાં હત્યાના ચાર-પાંચ બનાવ બની ગયાનું પણ જુના રહેવાસીઓએ કહ્યું હતું. અહિ સાંજે કે રાત્રે તો ઠીક દિવસે પણ પડીકી, દારૂના બંધાણીઓ અને જુગારીઓ સહિતના આવારા તત્વો અડ્ડો જમાવતાં હોઇ ધોળે દિવસે પણ ત્યાંથી પસાર થવામાં એકલ-દોકલ વ્યકિત થથરી જતાં હોવાનું લોકો કહેતાં હતાં. બાળાની હત્યા નશાખોરે જ વાસના સંતોષવાના ઇરાદે કર્યાનું સમજાય છે.

નરપિશાચને શોધવા પોલીસની આઠથી વધુ ટીમો કામે લાગી

. અપહૃત માસુમ બાળાને નરપિશાચે ન કરવાનું કહીને મોઢા પર પથ્થર કે બીજો કોઇ બોથડ પદાર્થ ફટકારી પતાવી દીધાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ.ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, બલરામ મીણા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, હર્ષદ મહેતા, બી. બી. રાઠોડ સહિતના અધિકારીઓએ તાકીદેન બેઠક રવિવારે યોજી ગંભીર એવા આ ગુનાનો ભેદ તાકેદે ઉકેલવા અને નરપિશાચને શોધી કાઢવા તમામ પોલીસ મથકોના ડી. સ્ટાફની ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમોને કામે લગાડી દીધી છે. આ તમામ ટીમોએ પીટીસી વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતાં પચાસેક જેટલા શખ્સોની પુછતાછ કરી કડી મેળવવા વહેલી સવાર સુધી મથામણ કરી હતી.

(2:59 pm IST)