રાજકોટ
News of Friday, 12th January 2018

રાજકોટમાં ધમધમતી ગેરકાયદે લેબોરેટરી બંધ કરાવવા મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત

ગુજરાત એસો. ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા નામ જોગ ફરીયાદ

રાજકોટ, તા., ૧૨: સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ રાજકોટમાં ધમધમતી ગેરકાયદે લેબોરેટરી બંધ કરાવવા ગુજરાત એસોસીએશન ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે.

ગુજરાત એેસો. ઓફ પેથોલોજીસ્ટ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટની યાદીમાં જણાવ્યું છે કે ગુજરાતના પોલીસ વડા (ડીજીપી)ને ૩૭૩ ગેરકાયદેસર લેબોરેટરીની નામ જોગ આધાર પુરાવા સાથેની ફરીયાદ જો પોલીસ અને સરકાર કાર્યવાહી નહી કરે તો કોર્ટમાં જવાબદાર અધિકારી સામે ફરીયાદ નોંધવામાં આવશે.

રાજકોટ પેથોલોજીસ્ટ એસોસીએશન (આર.એ.પી.એસ.) માં નોંધાયેલા ૧૪ર ડોકટર મેમ્બર છે. નામ જોગ યાદી મોકલેલ છે. તો ગુજરાતમાં અને દેશમાં કેટલા પેથોલોજીસ્ટ હોય? કયાંય પેથોલોજીસ્ટની  તંગી નથી. ગેર કાયદેસર લેબોરેટરી વાળા  જનતાને ગેરમાર્ગે દોરવાનું પ્રયત્ન કરે છે કે ગુજરાતમાં માત્ર ૩૦૦ પેથોલોજીસ્ટ છે. ગેર કાયદેસર લેબોરેટરી વાળાને પડકાર ફેંકવામાં આવે છે કે આવી નામ જોગ તેની યાદી જાહેર કરે અને કેટલા ટકા ગામડામાં સેવા આપે છે. ૯૦ ટકા ટેકનીશ્યન શહરી વિસ્તારમાં જયાં પુરતા પેથોલોજીસ્ટ છે ત્યાં જ કામ કરે છે. એડવોકેટ જનરલ તથા સોલીસીટર જનરલ જેવા નામાંકીત વકીલની રજુઆત બાદ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ મુકત વિચારણા બાદ મેડીકલ કાઉન્સીલના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને યોગ્ય ચુકાદો આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૧૭-૯-ર૦૧૦માં ગેરકાયદેસર લેબોરેટરી બંધ કરવા હુકમ કરેલ હોવા છતાં રાજય સરકાર  મીલી ભગતને કારણે તેનો અમલ કરવામાં આવેલ ન હતો અને આ ચુકાદાને સુપ્રિમમાં પડકારવામાં આવેલ પરંતુ તા.૧ર-૧ર-ર૦૧૭ સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવેલ અને અન્યની તમામ અપીલોને ખારીજ કરવામાં આવેલ છે. આધુનિક તબીબી વિજ્ઞાનમાં એમ.ડી. પેથોલોજીસ્ટની ભુમીકા ન્યાયાધીશ જેવી છે. તમામ રોગના અંતિમ નિદાન પેથોલોજી લેબોરેટરીમાં જ થાય છે તેથી તેમને એમબીબીએસ અને એમ.ડી.પેથોલોજીસ્ટ ભણવા માટે સાડા આઠ વર્ષની મેડીકલ કોલેજનો અભ્યાસક્રમ છે. પરંતુ પ્રજાની આરોગ્ય વિષયક અજ્ઞાનતાને કારણે વર્ષો સુધી આ ચાલ્યા કર્યુ. પરંતુ હવે સુપ્રિમના ચુકાદા બાદ બંધ કરવુ પડશે તેમ એસો.ની યાદીમાં જણાવ્યું છે.

(4:17 pm IST)