માહિ મિલ્કની વાર્ષિકસભાઃ ૮ ટકા ડિવિડન્ડ જાહેર
રૂ.૧૨૭૩ કરોડની આવક, રૂ.૮.૪૯ કરોડનો નફોઃ માહી રત્નોને એવોર્ડથી નવાજવામાં આવ્યાઃ મહેન્દ્રસિંહ જાડેજા
રાજકોટઃ દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડયૂસર કંપની લિમિટેડની દસમી વાર્ષિક સાધારણ સભા સયાજી હોટલ ખાતે યોજાઈ હતી. કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ જાડેજાએ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીએ સાધેલ વિકાસની રૂપરેખા રજુ કરી હતી. જયારે કંપનીના મુખ્ય કાર્યપાલક ડો.સંજય ગોવાણીએ વર્ષ દરમિયાન કંપનીએ કરેલા કાર્યોની વિગત આપી હતી. તેમણે તેમના વકતવ્યમાં કોરોના સામેનો જંગ જીતવા દરેક લોકોને વેકસીન લેવા આહવાન પણ કર્યુ હતું.
કંપનીએ ગત વર્ષ દરમિયાન કુલ રૂ.૧૨૭૩ કરોડની આવક નોંધાવી છે. જયારે રૂ.૮.૪૯ કરોડનો નફો નોંધાવ્યો છે. કોવિડની પરિસ્થિતિમાં પણ કંપનીએ તેના સભાસદોને ૮ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે.
૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન કંપનીના તમામ નિયમોનું પાલન કરી વર્ગ અ, બ અને કના સર્વશ્રેષ્ઠ ત્રણ ત્રણ સભ્યો મળીને કુલ નવ સભ્યોને માહી રત્ન, માહી નવરત્ન અને માહી મહારત્ન એવોર્ડ આપી, રોકડ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.