સિવિલ હોસ્પિટલમાં વૃધ્ધ શાંતિલાલ દવેનું મોતઃ સગા દાખલ કરી જતાં રહ્યા
ફોન પણ બંધઃ વાલીવારસની શોધખોળ કરતી એ-ડિવીઝન પોલીસ
રાજકોટ તા. ૧૦: સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે એક વૃધ્ધને પગમાં ઇજા જેવું હોઇ અને બિમારીની સારવાર માટે તેના સગા દાખલ કરી ગયા હતાં. આ વૃધ્ધનું કેસ પેપરમાં નામ શાંતિલાલ ભગવાનજીભાઇ દવે (ઉ.વ.૮૮-રહે. જૈન મંદિર પાસે પંચનાથ પ્લોટ-૮) લખાવાયું હતું. વૃધ્ધને મુકીને તેના સગા જતાં રહ્યા બાદ તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.
શાંતિલાલ દવેને પહેલા સર્જરી વોર્ડ નં. ૧માં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે ઇમર્જન્સી વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા હતાં. ત્યાં સુધી તેમના સગા સાથે હતાં. એ પછી સગા જતાં રહ્યા હતાં. દરમિયાન વૃધ્ધનું મોત નિપજતાં તબિબે સગાને શોધતા ન મળતાં અને તેમણે લખાવેલા નંબર પર ફોન કરતાં ફોન પણ બંધ આવતો હોઇ પોલીસ કેસ જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ એ-ડિવીઝનમાં જાણ કરતાં તપાસ શરૂ કરવામાં આવી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના સગા હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. મુકેશભાઇ રબારી વધુ તપાસ કરે છે.