રાજકોટ
News of Wednesday, 10th August 2022

ચાલો સૌ સાથે મળીને ગિરના સિંહોનું જતન કરવા સંકલ્‍પબધ્‍ધ થઇએ

સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ વિદ્યાર્થીઓએ સિંહોના મ્‍હોરા પહેરીને જનજાગૃતી કાર્યક્રમોમાં જોડાયા

રાજકોટ, તા., ૧૦: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘ચાલો સૌ સાથે મળીને ગિરના સિંહોનું જતન કરવા સંકલ્‍પબધ્‍ધ થઇએ' તેવા સંકલ્‍પ લેવામાં આવ્‍યા છે.

સર્વત્ર વિશ્વ  સિંહ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સિંહોના મ્‍હોરા પહેરીને જનજાગૃતી કાર્યક્રમોમાં જોડાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ આજે ૧૦ મી ઓગસ્‍ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે આ દિવસને મનાવવાની વર્ષ-૨૦૧૩ થી શરૂઆત થઈ અને ગુજરાતમાં વર્ષ-૨૦૧૬ થી વન વિભાગે તેની ઉજવણીનો પ્રારંભ કર્યો.  ક્રમબદ્ધ રીતે જ્‍યાં - જ્‍યાં સિંહનું વિચરણ હતું, ત્‍યાં જનસમુદાય સુધી તેના મન અને મસ્‍તિષ્‍કમાં પહોંચીને સિંહ માટે મમતાના શેરડાઓ ફોડવાની મનસ્‍યા રાખવામાં આવી અને તે સફળ પણ થઈ. આબાલ વળદ્ધ સૌએ સાવજના ચહેરાઓ ચિપકાવીને રેલીઓ કાઢી અને એક એવો સંદેશ જગતને આપ્‍યો કે સાવજ એ અમારા દિલો દિમાગમાં છવાઈ ગયેલું શિરમોર પ્રાણી છે. અમે તેને રક્ષિત તો કરીશું પરંતુ આવતી પેઢી પણ તેમાં કોઈ કચાશ નહીં રાખે તેની અત્‍યારથી જ તૈયારીઓ કરી  રાખી છે.

વન્‍ય પ્રાણી સંરક્ષણ વિભાગના નાયબ વનરક્ષક ડો. મોહન રામના જણાવ્‍યા પ્રમાણે સૌરાષ્‍ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જુનાગઢ વગેરે જિલ્લાઓમાં સિંહ વિચરણ હતું અને તેથી તે જિલ્લાઓને આ સિંહ આંદોલનમાં જોડવા અગત્‍યનાં હતાં. જો કે આજે સિંહ હવે બરડા અને પાંચાળ ભૂમિમાં સુરેન્‍દ્રનગરમાં પણ પહોંચી ગયાના વાવડો મળી રહ્યાં છે. પરંતુ આ એક માત્ર પ્રાણી માટે એક સાથે ૧૧ લાખથી વધારે લોકો શેરીઓમાં પહોંચીને એક નારો ગજવ્‍યો હોય તેનો વર્લ્‍ડ રેકોર્ડ નોંધાયો છે.

એટલું જ નહીં કોરોના સમયકાળ દરમિયાન આપણે વર્ચ્‍યુલી ઁલાયન ડેઁ ની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયાના પ્‍લેટફોર્મથી લગભગ ૭૫ લાખ લોકો આ ઉત્‍સવમાં ભાગીદાર બનીને એક નવા વિક્રમી આંકડા સુધી આપણે પહોંચી ગયાં છીએ. તે ઘટના આપણા સૌ માટે આનંદ અને ગૌરવ અપાવે તેવી છે.

છેલ્લે ૫-૬ જૂન ૨૦૨૦ ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ ૬૭૪ સિંહની ગણતરી થઈ હતી. જેમાં ૧૩૭ બચ્‍ચાં,૧૧૪ પુખ્‍ત અને બાકીના ૪૨૧  સિંહ -સિહણનો સમાવેશ થાય છે.

આ ગણતરીને લગભગ બે વર્ષ થયાં તેથી સિંહની વસ્‍તી વધવાનો રેશિયો ૫ ટકા ગણીએ તો બે વર્ષમા ૧૦  ટકા એટલે તેમાં ૭૦ નવા સિંહ નો વધારો થયો છે તેવું માની શકીએ. આ રીતે અત્‍યારે ગુજરાતમાં સિંહનો આંકડો ૭૫૦ આસપાસનો હોવો જોઈએ !

ભાવનગર જિલ્લામાં છેલ્લી ગણતરીના બે ભાગ પાડેલાં જેમાં ઘાંસિયા મેદાનમાં સિંહ ૨૬, સિંહણ ૧૩ અને ૧૭  બચ્‍ચાં મળી કુલ ૫૬ ની સંખ્‍યા હતી.

દરિયાકિનારાના મેદાનોમાં સિંહ ૮, સિંહણ ૪ અને બચ્‍ચાં ૫ મળી કુલ ૧૭ સિંહ છે. આમ તે બંનેનો સરવાળો ૭૩ છે.બે વરસમાં બીજા ૧૨ નો ઉમેરો કરીએ તો ભાવનગર અત્‍યારે ૮૫ થી વધુ  સિંહ વિચરણ કરે છે.

ભાવનગર જિલ્લાની વાત કરતા સિંહ દિવસના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર કહે છે કે, ભાવનગર જિલ્લાની ૧,૭૫૮ શૈક્ષણિક સંસ્‍થાઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહકારથી ૪,૬૬,૯૬૫ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો હિસ્‍સો બની સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેશે. રેલી, સૂત્રોચ્‍ચાર અને નાનકડી સિંહની ફિલ્‍મથી કાર્યક્રમ સંપન્ન થશે.

(4:12 pm IST)