રૂા.પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં વળતર સાથે આરોપીને એક વર્ષની સજાનો હુકમ
રાજકોટ, તા.૧૦: રૂા.૫ લાખના ચેક રિટર્ન કેસમાં વળતર સાથે એક વર્ષની સજાનો ચુકાદો કોર્ટે જાહેર કયો હતો.
આ કેસની વિગત એવી છે કે, લોધીકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા હનુભા રતુભા ડાભીએ ઓળખાણનો સંબંધ ધરાવતા હિતેષ પરબતભાઇ પાંભર રહે. રાધાનગર, શેરી નં.૧૦, માયાણી ચોક, રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂા.૫,૦૦,૦૦૦/ અંકે રૂપિયા પાંચ લાખ પુરા મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે હિતેષ પાંભરે તેમના ખાતાવાળી બેંકનો ચેક આપેલો હતો જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ લોધીકાની સીવીલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.આ કેસ ચાલી જતા લોધીકા સીવીલ કોર્ટના પ્રિન્સીપલ સીવીલ જજ શ્રી એમ.એ. પિપરાણીએ આરોપી હિતેષ પરબતભાઇ પાંભરને નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ. જેમાં આરોપી હિતેષ પરબતભાઇ પાંભરને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમની દોઢ ગણી રકમ રૂા.૭,૫૦,૦૦૦/ અંકે રૂપિયા સાત લાખ પચાસ હજાર પુરા વળતર તરીકે સાંઇઠ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવા અને જો સાંઇઠ દિવસમાં વળતરની રકમ ન ચુકવે તો વધુ ૩ (ત્રણ) મહીનાની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી.ફળદુ રોકાયેલા હતા.