ધો.૧૦-૧૨ના છાત્રો ગાડરીયા પ્રવાહમાં ન જોડાય : જાગૃતિ અર્થે કાલે સાયકલ રેલી
કિશાનપરાથી પ્રારંભ : ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે : જાહેર આમંત્રણ
રાજકોટ, તા. ૧૦ : બી. વોક.ના વિદ્યાર્થીઓ દ્વારા ''સ્કીલ ઈન્ડિયા'' અંગે જાગૃતિ લાવવા સાયકલ રેલીનું આયોજન કરાયું છે. ધો.૧૦ અને ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગાડરીયા પ્રવાહમાં ના જોડાય અને પ્રેકટીકલ એજ્યુકેશન મેળવે એ માટેનો વિદ્યાર્થીઓ દ્વારા જ અનોખો પ્રયત્ન યોજાયો છે.
રાજકોટના સિસ્ટર નિવેદીતા એજ્યુકેશન કોમ્પલેક્ષ ખાતે બી. વોક.માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ કાલે તા.૧૧ના રવિવારે સવારે ૮ વાગ્યે કિશાનપરા ચોકથી સાયરલ રેલી નીકળશે. જે રેસકોર્ષ સર્કલ થઈ અન્ડરબ્રીજ, કોટેચા ચોક થઈ ફરી કિશાનપરામાં પૂર્ણ થશે. આ રેલીમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે.
ખાલી સાયકલ રેલીથી ના અટકતા, આ જ વિદ્યાર્થીઓએ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડ એકઝામમાં મદદ કરવા માટે એક વોટ્સએપ હેલ્પલાઈનનું પણ આયોજન કર્યુ છે જે બોર્ડના વિદ્યાર્થીઓને એકઝામ ટીપ્સ, ઈમ્પોર્ટન્ટ કવેશ્ચન, પેપર સોલ્યુશન, સબ્જેકટ ટીપ્સ, સ્ટ્રેસ, રીમુવલ ટીપ્સ વગેરે પરીક્ષાના છેલ્લા મહત્વના દિવસોમાં વોટ્સએપ દ્વારા મળી રહે.
આ રેલીને સફળ બનાવવા ધ્વની દાવડા, બુરહાનુદ્દીન ભારમલ, શાલીની સુતરીયા, પાર્થ જોષી, જાહન્વી પરસાણા, મીત રાજા વગેરે વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. (૩૭.૯)