વોર્ડ નં. ૪ આખો અવિકસીત : પાણી, રોડ રસ્તાના પ્રશ્નોથી પ્રજા હેરાન - પરેશાન
એડવોકેટ ભવાનભાઈ ગોહેલે બ.સ.પા.માંથી ઝંપલાવ્યુઃ રણછોડદાસબાપુના આશ્રમથી મોરબી રોડ સુધીના વોંકળાની સફાઈ થતી જ નથી
રાજકોટ, તા. ૯ : આગામી ૧૭મીના શનિવારે મહાનગરપાલિકાની વોર્ડ નં. ૪માં પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. દરમિયાન આ વોર્ડમાંથી બહુજન સમાજ પાર્ટીમાંથી એડવોકેટ શ્રી ભવાનભાઈ ગોહેલે પણ દાવેદારી નોંધાવી છે. તેઓએ જણાવેલ કે તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માંડ માંડ જીત્યુ ત્યારે કોંગ્રેસને લોકોના કામ કરવામાં રસ નથી. આ વોર્ડમાંથી જનતા મને ચૂંટી જ કાઢશે તેવો મને વિશ્વાસ છે.
ભવાનભાઈ (મો. ૯૪૨૬૭ ૮૩૦૨૦)એ જણાવેલ કે હું ૩૫ વર્ષથી વકીલાતક્ષેત્રે સેવા આપી રહ્યો છું. પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. મને એડવોકેટ મિત્રો, ગરીબ, પછાત, મુસ્લિમોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે. લોકો શિક્ષિત ઉમેદવાર જરૂર પસંદ કરશે.
તેઓએ વધુમાં જણાવેલ કે વોર્ડ નં. ૪માં એકતરફ ગાંધી વસાહત સોસાયટી છે અને સામેની બાજુની રોહીદાસપરા વિસ્તાર આવેલ છે. આ બંને વચ્ચે રસ્તાને જોડતો પુલ બનાવવામાં ભાજપ - કોંગ્રેસને રસ નથી. આ આખો વિસ્તાર અવિકસીત છે. પાણી, રોડ, રસ્તાના પ્રશ્નો હલ થયા નથી. રણછોડદાસજીાપુ આશ્રમ રોડથી મોરબી રોડ સુધીના વોંકળાની સફાઈ કરવામાં આવતી નથી. જો લોકો મને ચૂંટી કાઢશે તો હું આ વોર્ડના પ્રશ્નો ત્વરીત ઉકેલવા પુરતા પ્રયત્ન કરીશ.
તસ્વીરમાં બ.સ.પા.ના ઉમેદવાર એડવોકેટ શ્રી ભવાનભાઈ ગોહેલ સાથે દિનેશભાઈ પડાયા (જીલ્લમ પ્રમુખ બસપા), માધુભાઈ ગોહેલ (જીલ્લા કાર્યાલય, મંત્રી), ઈસુબભાઈ લોહીયા (ભાઈચારા કમીટી), જે.કે. પરમાર અને હરેશભાઈ સાગઠીયા (એડવોકેટ) નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)